અમદાવાદ-

રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. અમદાવાદની હૉસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ ગઈ છે આ સ્થિતિમાં કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકારનો ઉધડો લીધો છે. મોઢવાડિયાએ કહ્યું કે આઈસીએમઆરે આંકડા બહાર પાડ્યા તેમાં ગુજરાત બિહાર પછી દેશનું સૌથી વધુ આંકડા છુપાવનારું રાજ્ય છે. રાજ્યમાં પહેલાં સરખા ટેસ્ટ નહોતા થતા હવે પોઝિટિવ કેસનાં આંકડા અને સ્મશાનના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.

મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું કે માત્ર અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સરકારી ચોપડે 2739 કેસ જ્યારે હકીકતમાં ખાનગી હૉસ્પિટલો ફૂલ છે. એમાં 3182માં 2845 દર્દી સારવાર લઈ રહ્યા છે જ્યારે 2916 દર્દી સરકારી દવાખાનામાં છે. જ્યારે આઈસીયુમાં 440 બેડ છે એમાંથી 30 જ ખાલી છે. 210 વેન્ટિલેટર 14 વેન્ટિલેટર ખાલી છે. જયારે સરકારી ચોપડે માત્ર 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 

આઈસીએમઆરે કહ્યું છે શિયાળાનો સ્પેલ ખૂબ જોખમી છે. અમદાવાદમાં 4-5 હજાર ટેસ્ટ થતા હતા ત્યારે 300 કરતાં વધુ દર્દીઓ આવતા હતા જ્યારે આજે હજારોની સંખ્યામાં ટેસ્ટ થાય છે પરંતુ રેપીડ ટેસ્ટના આંકડાની કોઈ નોંધ લેવાતી નથી. સરકાર સ્મશાનના આંકડા પણ છુપાવી રહી છે, હકિકતમાં 8-10 ગણા આંકડા મોતના જ છે. મોઢવાડિયાએ કહ્યું સરકાર અધિકારીઓના રવાડે ન ચઢે અને પ્રજાને સાચી માહિતી આપે કે આટલા કેસ છે, આટલા મોત થયા છે, હકિકતમાં આ અધિકારીઓને કઈ નહીં થાય પરંતુ સરકારી પ્રજા વચ્ચે જવું પડશે. ભારતીય જનતા પાર્ટીને હું ચેતવવા માંગું છું, તમને જરૂરથી જનતા બોધપાઠ આપશે.