વડોદરા : સાવલી તાલુકાના વાંકાનેરના અને ગાય આધારિત ખેતીને, કુદરતી સત્વશીલ ખેતીને વરેલા ખેડૂત ધર્મેશ પટેલ કહે છે એમણે ખેતર શેઢાની નકામી પડી રહેતી જમીનમાં વિટામિનોથી સમૃદ્ધ પોમેલો ફળના સાત વૃક્ષો વાવ્યા છે જે તેમને નિયમિત ભાડું ચૂકવે છે. ગૂગલ જણાવે છે કે, દેશી ભાષામાં આ ફળ ચકોતરું નામે ઓળખાય છે અને અંગ્રેજીમાં તેને ગ્રેપ ફ્રૂટ તરીકે ઓળખ મળેલી છે. 

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રત ગાય આધારિત ખેતીનું અનુસરણ કરનારા અને હિમાયતી છે. રાજ્ય સરકારે ગાય આધારિત ખેતી માટે ગૌ પાલનને પ્રોત્સાહિત કરતી યોજના અમલમાં મૂકી છે જેનાથી સાવલી તાલુકાના ભાદરવા અને વાંકાનેર વિસ્તારના ધર્મેશભાઈ પટેલ સહિત ૧૫ જેટલા મિત્રોનો ઉત્સાહ ખૂબ વધ્યો છે. તેઓ ગાય આધારિત ખેતીના વિવિધ પ્રયોગો કરી રહ્યાં છે અને જાણે કે તેમણે આ વિસ્તારને ગાય આધારિત કુદરતી ખેતીની પાઠશાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે.આ તો થઈ આડવાત. મુખ્ય વાત ધર્મેશભાઈએ ખેતરના શેઢે ઉછેરેલા પૉમેલો ફળના સાત વૃક્ષો એમના માટે ભાડુઆત કેવી રીતે બની ગયા એ છે. બેંગ્લોરથી આવેલા કોઈ મહેમાન એમના ઘેર પોમેલો ફળ લાવ્યા હતા. ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી મોટા કદની મોસંબી જેવા અને લીંબુ કુળની આ વનસ્પતિના ફળનો તેમણે ગણપતિ દાદાને ભોગ ધર્યો અને આ ફળમાંથી મળેલા બીજમાંથી એમણે ખેતર શેઢાની અને બિન ઉપયોગી પડી રહેતી જમીનમાં ૭ પોમેલો વૃક્ષો ઉછેર્યા. આજે ઘટાટોપ ઉગી નીકળેલા આ વિરાટ વૃક્ષો લગભગ ચોમાસાની શરૂઆતથી શિયાળા સુધી મહાકાય કહી શકાય એવા ફળ આપે છે.હાલમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે અને જેની કોઈ દવા કે રસી હજુ શોધાઈ નથી તેવા આ રોગનો એકમાત્ર ઈલાજ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેનાથી મુક્ત રહેવાનો છે એવું દ્રઢપણે મનાય છે.ત્યારે આ ફળ ઇમ્યુનિટી વધારનારું હોવાથી એની સારી એવી માંગ છે તેવું ખેડૂતનું કહેવું છે.