અમદાવાદ-

કોરોના મહામારી વચ્ચે વધુ એક સારા સમાચાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી સામે આવ્યા છે. હવે, જીટીયુંની બાયો સેફટી લેબમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ થઈ શકશે. આઈસીએમઆર દ્વારા આ ટેસ્ટ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. માત્ર કોરોના માટેના ટેસ્ટ જ નહીં આ બાયો સેફટી લેબમાં આગામી સમયમાં હિપેટાઈટીસ-બી, હિપેટાઈટીસ-સી, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લૂ અને કેન્સર, એચઆઈવીનું પણ પરીક્ષણ કરી શકાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડનું ચોક્કસ નિદાન તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે.

તેવામાં હાલમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-૧૯ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે. આઈસીએમઆર દ્વારા કોવિડ-૧૯ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે માન્યતા મળતાં જણાવ્યું હતું કે, જીટીયુ આ મહામારીમાં સરકારને દરેક પ્રકારે મદદરૂપ થવા માટે સતત કાર્યરત રહશે.

આ સંદર્ભે વધુમાં જીટીયુ અટલ ઈન્ક્‌યુબેશન સેન્ટરના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં જીટીયુ તરફથી કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચમાં અરજી કરવામાં આવી હતી. આઈસીએમઆરના તમામ પ્રકારના ધરાધોરણઓ જેવા કે, બાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-2 પ્રકારની હોવી જાેઈએ, દરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બોયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૂરી છે.