અમદાવાદ-

આગામી સોમવારથી રાજ્યભરમાં ધોરણ 10 12 સ્નાતક અને અનુસ્નાતક ના છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે ,ત્યારે ગઇકાલે મોડી સાંજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કોવિડ ને લઈને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. વર્ગખંડમાં ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ અથવા એક વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાની બે બેચ બનાવીને એક સપ્તાહમાં બંને બેચને અલગ-અલગ બોલાવવાની રહેશે.એક બેચ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસ તો બીજી બેચ સપ્તાહના છેલ્લા ત્રણ દિવસ બોલાવીને શૈક્ષણિક કાર્ય કરવાની વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરવામાં આવી છે. શાળાએ આવતા વિદ્યાર્થીને પ્રથમ દિવસે વેલકમ કીટથી સ્વાગત કરવામાં આવશે ,જેની વ્યવસ્થા શાળાએ કરવાની રહેશે. આ વેલકમ કિટમાં માસ્ક, સેનેટાઈઝર જેવી વસ્તુઓનો સમાવેશ થયો છે. દરેક શાળાઓમાં વર્ગ ખંડ, શાળાની લોબીનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય અને પૂર્ણ થાય પછી સેનીટાઇઝેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. 

ઓફલાઈન શિક્ષણ ન મેળવતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા-કોલેજ આવવાની મંજૂરી આપી નથી તેવા તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ લેવાનું રહેશે. તો બીજી બાજુ જે ધોરણ અને વર્ગના વિદ્યાર્થીઓને શાળા કોલેજ શરૂ કરવાની મંજુરી મળી નથી તે તમામ વર્ગનું શૈક્ષણિક કાર્ય પણ ઓનલાઇન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિડીયો કોન્ફરન્સ કરી હતી જેમાં તમામ શાળાના આચાર્યોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થા ચકાસવાની તાકીદ કરી છે. આગામી સોમવારથી શરૂ થયેલા શૈક્ષણિક કાર્યને લઇને તમામ શાળાના આચાર્ય દ્વારા વાલીઓ પાસે વિદ્યાર્થીઓને શાળાએ આવવા ના મુદ્દે સંમતિ પત્ર ભરાવી લેવામાં આવ્યા છે.