અમદાવાદ-

જીટીયુ દ્વારા 30મી જૂલાઈથી યુજી-પીજી અને ડિપ્લોમાના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા શરૂ થનાર છે. જીટીયુની પરીક્ષા માટે 21 થી 25 જૂલાઈ દરમિયાન સુરત સહિત ગુજરાતની જીટીયુની તમામ કોલેજોમાંથી કુલ 63 હજારથી વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 26500 વિદ્યાર્થીઓ 30 મી જૂલાઈના રોજ ઓનલાઈન પરીક્ષા આપશે અને 1726 વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરમાં ઓફલાઈન પરીક્ષા આપશે. જીટીયુ દ્વારા ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે કેટલીક ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી છે. જો કે આ વર્ષે ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થી પકડાય તો સજા શું કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જીટીયુ દ્વારા 30મીથી શરૂ થનારી ઓનલાઈન એમસીક્યુ આધારીત પરીક્ષાઓ માટે કોલેજો-વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

વિદ્યાર્થીએ 70 મીનિટ સુધી એટલે કે પરીક્ષા પુરી ન થાય ત્યાં સુધી ફરજીયાત માસ્ક વગર વેબ કેમેરા સામે બેસવુ પડશે. જો વિદ્યાર્થીનું પેપર વહેલું પુરું થઈ ગયું તો પણ 70 મીનિટ સુધી બેસવુ પડશે. પેપર સબમિશન કરી શકશે નહીં. ઘરોથી અથવા કોલેજમાંથી ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન 70 મિનિટ માસ્ક પહેરવાનું રહેશે નહીં. પરીક્ષા દરમિયાન વધુવાર તે કેમેરાથી દૂર નહી થઈ શકે, કેમેરા સામે પાંચ-પાંચ મીનિટે ઓટોમેટિક ફેસ લોક થશે અને જો વિદ્યાર્થીનો ફેસ વારંવાર ન દેખાય તો ડિસ્કવોલીફાઈ પણ થઈ શકે. 

પરીક્ષા દરમિયાન ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર લોગઆઉટ થઈ જાય તો પણ વિદ્યાર્થીને લોગઈન થવાનો સમય મળશે પરંતુ જે સમય બગડયો હશે તે ફરીથી મળશે નહીં. 70 માર્કસની પરીક્ષામાં 70 પ્રશ્નોમાં 56 ફરજીયાત પ્રશ્ન હશે. કોલેજમાં વિદ્યાર્થી પરીક્ષા આપે તો બે મીટરનું ડિસ્ટન્સ રાખવુ પડશે. પરીક્ષા સમયે આસપાસ કોઈ પણ ન હોવુ જોઈએ અને એક જ પીસી કે મોબાઈલથી એક જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓ તમામ ટેકનિકલ બાબતો સમજી શકે તે માટે પીજી,ડિપ્લોમા અને ડિગ્રીના અંતિમ સેમેસ્ટરના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે 28મીએ પ્રી ચેક ટ્રેલ ટેસ્ટ લેવાશે. પરીક્ષામાં ગેરરીતી કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોઈ સજા કરવામાં આવશે નહીં. 

જીટીયુની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી તમામ પરીક્ષાઓ ઓફલાઈન ધોરણે લેખિત જ લેવામા આવી છે. યુનિ.એક્ટ મુજબ લેખિત પરીક્ષામાં જો વિદ્યાર્થી કાપલી સાથે પકડાય કે મોબાઈલ સાથે પકડાય કે કોઈ પણ પ્રક્રારની ગેરરીતિ કરતા પકડાય તો તે માટે જુદા જુદા લેવલની સજા નક્કી કરાઈ છે. જેમાં એક વિષયનુ પરિણામ રદ કરવાથી માંડી 6 સેમેસ્ટર રદ કરવા સુધીની સજા નક્કી કરવામાં આવે છે. પરંતુ જીટીયુ દ્વારા આ વર્ષે કોરોનાને પગલે પ્રથમવાર 45 ટકાથી વધુ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવામા આવનાર છે ત્યારે પરીક્ષામાં ગેરરીતી થવાની સંભાવના છે. વિદ્યાર્થી કોમ્પયુટર કે લેપટોપ કે મોબાઈલમાં કોઈ પણ ટ્રીક વાપરી ચોરી કરે કે ઓનલાઈન ગેરરીતિ કરે તો તેને સજા શું કરવી અને કયા પ્રકારની સજા કરવી તે નક્કી નથી. જીટીયુએ ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતી માટેના નવા નિયમો બનાવ્યા નથી.