અમદાવાદ-

હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી.કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઇને ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે કેસો ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહ્યા છે, જેને લઇને ઓલ ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રીને પત્ર લખી પરીક્ષા જૂન મહિનામાં રજૂઆત કરી છે. તથા ધોરણ 1થી 9 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા પણ રજૂઆત કરી છે.

વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી, જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં નહિ પરંતુ જૂન મહિનામાં લેવામાં આવે તેવી પત્રમાં માંગણી કરવામાં આવી છે. નવું વર્ષ પણ જૂન મહિનાથી શરૂ થશે અને 240 દિવસ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે અભ્યાસના પૂરા દિવસો પણ ન મળી રહે, તેથી તાત્કાલિક માસ પ્રમોશનની જાહેરત કરવાની માગણી કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 10મી મેથી શરૂ થવા જઈ રહી છે. જે પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષા નો સમય સવારના 10 વાગ્યાથી બપોરના 3:15 સુધી નો રહેશે.આ પહેલાં કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો, જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે.