અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાની કપરી પરિસ્થિતિ બની છે ત્યારે સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. છેલ્લા ચાર દિવસથી હાલમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 2600 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં માત્ર 18 એપ્રિલ સુધીમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની છે ત્યારે સૌથી વધુ નુકસાન અમદાવાદને ભોગવવું પડ્યું છે. રાજ્યના કુલ 4,04,569 કેસમાંથી 25 ટકા કેસ માત્ર અમદાવાદના છે. કોરોના ને કારણે દેશભરનાં મોટાં શહેરોમાં પણ મૃત્યુઆંક મામલે અમદાવાદ પ્રથમ નંબર પર આવે છે. અમદાવાદ શહેરનો મૃત્યુઆંક 2.60 ટકાની આસપાસ છે. જ્યારે બીજા સ્થાને મુંબઈ 2.20 ટકા સાથે. દિલ્હી તેમજ ચૈન્નઈમાં પણ મૃત્યુઆંક 2 ટકાથી નીચે નોંધાયો છે.

ગત વર્ષના માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીને કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ઝડપથી ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યાર બાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે, જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.