ગાંધીનગર-

ગુજરાતના વીજ કર્મચારીઓ ફરી એકવાર રાજ્ય સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતના ૫૫૦૦૦ વીજ કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈ આંદોલન કરશે. ગુજરાતના વીજ કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ, એલાઉન્સની માંગને લઈને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં તબક્કાવાર પીજીવીસીએલના કર્મીઓ વિરોધ પ્રદર્શન કરશે. ૭માં પગાર પંચ મુજબ નવા બેઝિક પગાર ઉપર મળવા પાત્ર એલાઉન્સ અને એરયન્સને લઈ રાજ્ય સરકાર સામે વધુ કર્મચારીઓ બાંયો ચઢાવવા જઈ રહ્યા છે. ગુજરાત ઊર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના કુલ ૫૫ હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ સાતમાં પગાર પંચના એલાઉન્સ સહિતની માંગણીઓ સાથે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ ર્નિણય ન લેવાતા આખરે ઉત્તરાયણ બાદ ૧૬મીથી કાળી પટ્ટી સાથે કામ કરીને બાદમાં માસ સીએલ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના વીજ કર્મચારીઓ સરકાર સામે આવતીકાલથી વિરોધ કરશે. જેમાં ૧૬ જાન્યુઆરીએ વીજ કચેરીએ સૂત્રોચ્ચાર કરશે, ૧૭થી ૨૦ જાન્યુઆરીએ કાળીપટ્ટી બાંધી વિરોધ કરશે. ૨૧ જાન્યુઆરીએ માસ સીએલ પર જશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૪૦ટકા વેઈટેજ મુજબ બેઝીક સુધારેલ જ્યારે ઉર્જાક્ષેત્રના પાંચમા વેતન પંચના અમલ સમયે સદરતે એલાઉન્સ અકબંધ રાખવા ૩૦ ટકા વેઈટેજ મુજબ બેઝીકમાં સુધારો કરેલ જેથી એલાઉન્સ બેઝિક સામે હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખેલ છે જે સંપૂર્ણ અન્યાયકર્તા છે. સંકલન સમિતિ તથા જીયુવીએનએલ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓના માન્ય યુનિયન આસોસિયેશન દ્વારા વારંવાર વિનંતી રૂપે પત્રો આપવા છતાં ઉર્જા ક્ષેત્રના ૫૫ હજાર જેટલા વીજકર્મચારીઓ અને અધિકારીઓ- ઇજનેરઓની નબળાઈ ગણીને અન્યાય થઇ રહ્યો હોવાથી સોળમી જાન્યુઆરીથી આંદોલન પર જવા માટે ફરજ પડી છે.