સુરત-

સુરતના ડભોલી વિસ્તારમાં ઉમરાળા ગામના સુરતમાં રહેતા લોકો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરીદર્શન ખાડાના ૩૦૦ કરતાં વધુ સ્થાનિકો આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા. મહેશ સવાણીના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

શહેરની અલગ અલગ સોસાયટીઓમાંથી લોકો હવે સ્વયંભૂ રીતે આમ આદમી પાર્ટીમાં જાેડાવાનું શરૂ થયું છે. છેલ્લા ઘણા સમયથી છૂટાછવાયા સોસાયટીઓના લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. બીજી તરફ લોકોનો રોષ જાેતા આમ આદમી પાર્ટી પણ સતત અલગ-અલગ સોસાયટીઓમાં પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓની મદદથી લોકોનો સંપર્ક વધારી રહી છે. જેનો સીધો લાભ હાલ તેમને થતો દેખાઈ રહ્યો છે.

જે સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ દેખાય તે સોસાયટીનો આપના નેતા અને કાર્યકર્તા સામેથી સંપર્ક કરે છે અથવા તો તે સોસાયટીનો કોઈપણ વ્યક્તિ આપના નેતાને મળવા આવે છે. તેની સાથે બેઠકોનું આયોજન પણ કરે છે અને તેમની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે તેને લઈને પણ ચર્ચા કરે છે. કેટલાક અગત્યના મુદ્દાઓ વિરોધ પક્ષના નેતા અથવા તો સ્થાનિક કોર્પોરેટરની મદદથી સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવે છે. સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું કે, મહેશ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થતાની સાથે જ અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હવે આમ આદમી પાર્ટીમાં જાેડાવવા માટે ઉત્સુક થયા છે. દંડ અને દંડાથી ત્રાસીને લોકો આમ આદમી પાર્ટીમાં જઇ આવી રહ્યા છે. ભાજપમાં પણ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓનું સન્માન ન જળવાતું હોવાથી ઘણા એવા કાર્યકર્તાઓ જે સક્રિય હતા તેઓ આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે.