વડોદરા : ખોડિયારનગર પાસે દર્શનમ ઓએશીસમાં પરિણીત યુવક સચિન સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હિના ઉર્ફ મહેંદી પેથાણીની પ્રેમી સચિને હત્યા કર્યાનો ઘટસ્ફોટ થતા આ બનાવની ગાંધીનર એસઓજીના પીઆઈએ અત્રેના બાપોદ પોલીસ મથકમાં સચિન વિરુધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં સચિને બપોરના સમયે મહેંદી સાથે બોલાચાલી થતાં હિનાએ સચિનને લાફો ઝીંકી દઈ નખોરીયા મારતા જ ઉશ્કેરાયેલા સચિને તેનું ગળું ૭ મિનિટ સુધી દબાવી રાખી હત્યા કરી હતી. આજે હિનાનો મૃતદેહ તેના પિતાને સોંપાતા તે દફનવિધિ માટે અમદાવાદ લઈ ગયા હતા.

ગાંધીનગર ખાતે ગ્રીનસિટી સેક્ટર-૨૬માં પત્ની અને એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતા સચિન નંદકિશોર દિક્ષીતને ગત ઓગસ્ટ-૨૦૧૮માં માં હિના ઉર્ફ મહેંદી પેથાણી સાથે પ્રેમસંબંધ બંધાતા તેઓની વચ્ચે અવારનવાર શારીરિક સંબંધ બંધાયા હતા અને તેના પરિણામે ગત ૧૦-૧૨-૨૦૨૦ના રોજ હિનાએ એક પુત્ર શીવાંશને જન્મ આપ્યો હતો. ગત ૮મી તારીખે શિવાંશ ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકની હદમાં સ્વામીનારાયણ ગૈાશાળાના ગેટ પાસે રાત્રે બિનવારસી હાલતમાં મળતાં પોલીસે બાળકના વાલીની શોધખોળ શરૂ કરી હતી અને શિવાંશને ત્યજી જનાર પિતા સચિનને તેની કારનંબરના આધારે શોધી કાઢ્યો હતો. ગાંધીનગર એસઓજીએ સચિનની ધરપકડ કરી શિવાંશની માતાની પુછપરછ કરતા તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે તે હાલમાં હિના સાથે લિવ ઈન રિલેશનશીપમાં વડોદરાના ન્યુવીઆઈપી રોડ પર ખોડિયારનગર પાસે આવેલા દર્શનમ ઓસેશીસના જી-૧૦૨માં રજની પટેલના ભાડાના મકાનમાં રહે છે અને શિવાંશ હિનાનો પુત્ર છે. પોલીસ સચિનને લઈને વડોદરામાં હિનાની તપાસ માટે આવી હતી તે જ સમયે ભાંગી પડેલા સચિને પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે હિના હવે આ દુનિયામાં રહી નથી અને તેણે જ હિનાની હત્યા કરી છે. પોલીસે અત્રે આવી દર્શનમ ઓએશીસ સ્થિત ભાડાના મકાનના દરવાજાે તોડી રસોડામાં વોશ બેસીનના નીચે કબાટમાં લીલા રંગની બેગમાં હિનાની લાશ ડિકંપોઝ હાલતમાં કબજે કરતા ચકચાર મચી હતી. ગત ૮મી તારીખના બપોરે સાડા ચાર વાગે તેને ગાંધીનગર જવાનું હતું પરંતું હિનાએ તેની ના પાડતા આ મુદ્દે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન હિનાએ ઝપાઝપી કરી સચિનને લાફો ઝીંકી દીધો હતો અને તેને નખોરિયા મારી ચીસો મચાવી હતી જેથી ઉશ્કેરાયેલા સચિને તેનું બળપુર્વક ૭ મિનિટ સુધી ગળુ દબાવી રાખી હત્યા કરી હતી અને પુત્ર શિવાંગને લઈને તે ગાંધીનગર આવી રાત્રે ત્યજી દઈ ફરાર થયો હતો. આ બનાવની ગાંધીનગર એસઓજીના પીઆઈ એસ.એસ.પવારે બાપોદ પોલીસ મથકમાં સચિન વિરુધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આજે હિનાનું અત્રે પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેના પિતા મહેબુબખાનને તેનો મૃતદેહ સોંપાયો હતો. હિનાને દફનવિધિ માટે અમદાવાદના બાપુનગર ખાતે પરિવારજનો લઈ ગયા હોવાની વિગતો સાંપડી છે.

શિવાંશને હિનાના કોઈ પરિવારજનને ના સોંપો

હિના પેથાણીની માતાનું અવસાન થયા બાદ તે તેની માસી સાથે રહેવા માટે આવી હતી અને તેણે સચિન સાથે લગ્ન કરતા તે ગર્ભવતી બની હોવાનું માસીને જણાવ્યું હતું. હિનાની હત્યાની જાણ થતાં તેના માસી અત્રે દોડી આવ્યા હતા અને તેમણે હત્યારા સચિનને ફાંસીની સજાની માગણી કરી હતી. બીજીતરફ આ બનાવમાં હિનાના પિતા મહેબુબખાને હિનાની માસી અને નાની પર પારિવારિક સંબંધો તોડવાના આક્ષેપ કરી જણાવ્યું હતું કે શિવાંશને હિનાના કોઈ પરિવારજનોને સોંપવામાં ના આવે.

સચિનની ૧૪મી તારીખ બાદ ધરપકડ કરાશે

સચિન વિરુધ્ધ ગાંધીનગરના પેથાપુરા પોલીસ મથકમાં હાલમાં પુત્રને શિવાંશનું અપહરણ કરી તેને ત્યજી દેવાની ફરિયાદ નોંધાતા આ ગુનામાં તેની ધરપકડ કરાઈ છે. સચિનને પેથાપુરા પોલીસે આજે કોર્ટમાં રજુ કરી તેના ૧૪મી તારીખના રિમાન્ડ મેળવ્યા છે જેથી બાપોદ પોલીસ અત્રે હત્યાના ગુનામાં ૧૪મી તારીખ બાદ સચિનની ધરપકડ કરશે.

એક સાથે બે માસૂમ પુત્રોનું ભાવિ અંધકારમય

સચિનના પાંચ વર્ષ અગાઉ તેના સમાજની અનુરાધા નામની યુવતી સાથે લગ્ન થતાં આ દામ્પત્યજીવનથી તેઓને ચાર વર્ષનો એક પુત્ર છે. આ ઉપરાંત સચિનને મહેંદી સાથે લિવ ઈન રિલેશનશીપમાં થયેલો૧૦ માસનો માસુમ શિવાંશ છે. જાેકે હિનાનું મોત થતાં શિવાંશે માતાનું છત્ર કાયમ માટે ગુમાવ્યું છે પરંતું ત્યારબાદ સચિન સામે હત્યાનો ગુનો નોંધાતા તે જેલમાં જતા હવે અનુરાધાના પુત્રનું ભાવિ પણ અંધકારમય બન્યુ છે