નાગપુર-

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. દર્દીઓને બેડ મળી રહ્યા નથી. ત્યારે એક માનવતાનું સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય એવી ઘટના નાગપુરમાં પ્રકાશમાં આવી છે. જે, અહીં વૃદ્ધે એક કોરોના સંક્રમિત યુવાન સારવાર લઇ શકે તે માટે પોતાની સારવાર વચ્ચે જ પોતાનો બેડ આપી દીધો અને ઘરે જતા રહ્યાં. ત્રણ દિવસ પછી તેમનું અવસાન થયું.

મળતી માહિતી મુજબ, નાગપુરના રહેવાસી નારાયણ ભાઉરચ દભાડકર કોરોના સંક્રમિત હતા. હૉસ્પિટલમાં તેમણે કહ્યું- 'મેં મારું જીવન જીવી લીધુ છે. હું 85 વર્ષનો છું. આ મહિલાનો પતિ યુવાન છે. તેને મારો બેડ આપવો જોઈએ. આટલું કહી દભાડકર ઘરે જતા રહ્યા. થોડા દિવસો પહેલા તેમને કોરોનામાં ચેપ લાગ્યો હતો. તેમનું ઓક્સિજનનું લેવલ 60 પર પહોંચી ગયું હતું. આવી સ્થિતિમાં, તેમના જમાઈ અને પુત્રીએ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. ઇન્દિરા ગાંધી સરકારી હૉસ્પિટલમાં પહેલાથી બેડની મારામારી હતી. ઘણી મહેનત પછી ત્યાં એક બેડ મળ્યો હતો. તેમની સારવાર ચાલી રહી હતી. તે જ સમયે, એક મહિલા તેમના કોરોનાગ્રસ્ત પતિને બચાવવા માટે બેડ માટે વિનંતી કરી રહી હતી. બેડ ખાલી ન હોવાથી હૉસ્પિટલે મહિલાના 40 વર્ષિય પતિને દાખલ કરવાની ના પાડી દીધી હતી. આ જોઈને, દાભાડકરે પોતાનો બેડ તે મહિલાનાં પતિને ઓફર કરી દીધો. જે બાદ હૉસ્પિટલના વહીવટીતંત્રે પણ સંમતિ ફોર્મ પર સહી કરાવી દીધી. જે બાદ દાભાડકરનું ત્રણ દિવસ પછી યોગ્ય સારવાર વગર મોત નીપજ્યું.