દુબઈ

બોલરોની નિષ્ફળતાને કારણે અત્યાર સુધી લચર પ્રદર્શન કરનારી કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા આજે જ્યારે આમને-સામને હશે. બંન્ને ટીમોનું અત્યાર સુધી પ્રદર્શન સાધારણ રહ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબે અત્યાર સુધી પાંચ મેચોમાં ચાર મેચ ગુમાવી છે અને સનરાઇઝર્સને ત્રણમાં હાર અને બે મેચમાં જીત મળી છે. 

કિંગ્સ ઇલેવનનો મજબૂત પક્ષ તેની ઓપનિંગ જોડી છે. કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે અને તેણે બે અડધી સદી અને એક સદી ફટકારી છે. જ્યારે મયંક અગ્રવાલ એક સદી-એક અડધી સદી ફટકારી ચુક્યો છે. આ બંન્નેએ અત્યાર સુધી બેટિંગમાં મુખ્ય જવાબદારી નિભાવી છે. નિકોલસ પૂરન પણ સારી ભૂમિકા નિભાવી રહ્યો છે પરંતુ મેક્સવેલ અત્યાર સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. સારી બેટિંગ છતાં કિંગ્સ ઇલેવનને પોતાની નિરાશાનજક બોલિંગને કારણે હાર મળી છે.

મોહમ્મદ શમીને છોડીને તેનો કોઈ અન્ય બોલર સતત સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ તેના બોલર 223 રનના સ્કોરનો બચાવ કરી શક્યા નહીં. ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પાછલી મેચમાં તેને 178 રનનો લક્ષ્ય આપવા છતાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં હવે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવાનો છે જેના ટોપ ક્રમમાં જોની બેયરસ્ટો, ડેવિડ વોર્નર, મનીષ પાંડે અને કેન વિલિયમસન જેવા બેટ્સમેન છે. આ બધા કિંગ્સની બોલિંગની નબળાઇનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે.

સનરાઇઝર્સ હૈદરાબાદે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મધ્યમક્રમી નિષ્ફળતાને કારણે હૈદરાબાદે પ્રથમ બે મેચ ગુમાવી હતી. તેવામાં એક ઓલરાઉન્ડરના સ્થાને વિલિયમસનને અંતિમ ઇલેવનમાં સામેલ કરવો પડ્યો જેથી તેનો મધ્યમક્રમ મજબૂત થઈ ગયો. કેપ્ટન વોર્નરે પાંચમાં બોલર તરીકે અભિષેક શર્મા અને અબ્દુલ સમદ પર વિશ્વાસ વ્યક્ત કરવો પડ્યો છે. તેનાથી તેને ફાયદો થયો અને સતત બે મેચ જીતી હતી.