અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરકારી કામકાજ માટે મામલતદાર કચેરીમાં ગયેલા પોલીસ જવાનને છીંક ખાવી ભારે પડી હતી. છીંક ખાતે જ બે વ્યક્તિઓએ સારા કામ માટે આવ્યા છે કેમ છીંક ખાધી તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. આ જાેઈ યુવકોના બીજા ત્રણ સાગરીતો ત્યાં આવ્યા અને પોલીસ જવાનને મારા મારી નાકના ભાગે ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે એલઆરડી જવાનની ફરિયાદના આધારે પાંચ લોકાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા ગઈ કાલે બપોરના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માટે ફાળવેલ જમીન બાબતના કામકાજ અંગે નરોડાની મામલતદાર કચેરીએ ગયા હતા. જ્યાં તેઓને છીંક આવતા નજીકમાં ઉભેલા બે ઈસમોમાંથી એક ઈસમે તેની પાસે આવીને કહ્યું હતું કે હું, સારા કામથી નીકળ્યો છું તે છીંક કેમ ખાધી તેમ કરીને તેને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. જાેકે, પોલીસ જવાને પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને અહીં સરકારી કામકાજ અર્થે આવ્યો હોવાનું કહેવા છતાં પણ આ બન્ને યુવકોએ તું કેવી રીતે સરકારી કામકાજ કરે છે તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.એટલું જ નહીં, બીજા ત્રણ લોકોને બોલાવીને પાંચ જણા ભેગા થઈને પોલીસ જવાનને ગડદાપાટુનો માર માર્યો હતો. જવાનને મોઢાના ભાગે મુક્કા મારતા તેઓને નાક અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને પોલીસ જવાને માર મારનાર પાંચેયના નામ પૂછતા તેઓએ જગદીશ ભરવાડ, ભરત ભરવાડ, વિપુલ ભરવાડ, સંજય ભરવાડ અને રવિ ભરવાડ હોવાનુ જણાવ્યું હતું. બીજી તરફ ઇજાગ્રસ્ત પોલીસ જવાન ને સારવાર માટે ખસેડતા તેઓને નાક નાં ભાગે ફેક્ચર હોવાનુ જાણવા મળ્યુ છે.