રાદકોટ-

રાજકોટ કોવીડ હોસ્પિટલમાં નર્સ બહેનો સાચા અર્થમાં કર્મયોગીઓ તરીકે કામ કરી રહી છે. આ બહેનો કહે છે કે, કોરાના દર્દીઓ અમારા માટે ભગવાન સમાન છે. અમને ઇશ્વરે સેવા કરવાની તક આપી છે, તે મોટી વાત છે. પીડીયુ કોવીડ હોસ્પિટલમાં ૫૫૦ થી બહેનો નર્સીગ સ્ટાફમાં સેવા આપી રહી છે. દર્દીઓની સેવા અને સારવાર કરતા ૧૦૨ જેટલી નર્સીગ સ્ટાફની બહેનો પણ સંક્રમિત થયેલી છે. અને હાલ સ્વસ્થ થઇ ફરી સેવામાં લાગી ગઇ છે.

કોવીડના વોર્ડમાં સેવા આપતા લક્ષ્‍મીબેન નસીત કહે છે કે હું ૩૦ વર્ષથી સેવા આપું છુ, અને કોવીડમાં શરૂઆતથી સેવા આપું છું. તેમાં રાઉન્ડ મુજબ કામ કરવાનું હોય છે. તેઓ પ્રતિભાવ આપતા કહે છે કે મને આ કામ કરવાનો આનંદ છે. ઘર અને હોસ્પિટલ બંને સંભાળીએ છીએ. દર્દીઓ અમને નારાયણ સ્વરૂપે દેખાય છે. 

અમદાવાદમાં પણ કોવીડમાં સેવા આપેલ છે તેવા બીજા એક નર્સ ભાનુબેન લુણાગરીયાએ કહે છે કે અમે દર્દીઓની સારીમાં સારી સેવા થાય તેવા પ્રયાસો કરીએ છીએ. ભાનુબેનના સાસુ પણ કોવીડ હોસ્પિટલમાં બીજા વોર્ડમાં દાખલ કરેલા છે. છતા પણ તેઓએ સેવા અવિરત ચાલુ રાખી છે. કિંજલ અશ્વિનભાઇએ કહયું કે કોરાનામાં દર્દીઓ પાસે તેમના સ્વજનો હોતા નથી એટલે અમારે તેમને માનસિક સધિયારો આપવાનો છે. તે કામ અમે કરીએ છીએ. જમવા થી માંડીને દર્દીને બધી જ મદદ અમે કરીએ છીએ. ઘરે પણ નાના ભાઇ બહેનોને ચેપ ન લાગે તે માટે તકેદારી રાખીએ છીએ.આ જ હોસ્પિટલના અન્ય નર્સ શાંતિબેન મકવાણા કહે છે કે કોરાના વોર્ડમાં કામગીરી વધારે જવાબદારીવાળી હોય છે. દર્દી સાથે કોમ્યુનિકેશનથી માંડી તેમની દૈનિક બધી જ સંભાળ રાખીએ છીએ. દર્દીઓના અમને સારા આશીર્વાદ મળે છે. શાંતિબેન દર્દીઓની સેવા કરતા સંક્રમિત થયા હતા. ૧૪ દિવસ કવોરેન્ટાઇન રહી ફરી સેવામાં જોડાઇ ગયા છે.