અરવલ્લી,ભિલોડા : ભિલોડા નગરમાં વરસાદ પડતાની સાથે પશુપાલકો તેમના ઢોર અને ગાયોને રખડતી મુકી દેવામાં આવતી હોય છે.જેના પગલે રખડતી ગાયો જાહેર માર્ગો પર અડીંગો જમાવી દેતી હોય છે.આખરે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીઓનો ભોગ બનવુ પડે છે.રખડતા પશુઓના પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂતએ ભિલોડા ગ્રામ પંચાયતને નોટીસ આપી નગરના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા તાકીદ કરી છે નહી તો નગરના માર્ગો પર રખડતા પશુઓને પાંજરે પોળ મોકલી આપવા સૂચન કર્યું છે. ભિલોડા પીએસઆઈ કે.કે રાજપૂતે ભિલોડા ગ્રામ્ય પંચાયતને નોટિસ ફટકારી જણાવ્યું છે કે ભિલોડા ટાઉન વિસ્તારમાં રોડ પર રખડતા ઢોર તેમજ રોડ પર ગાયો બેસી રહેતી હોવાથી અકસ્માત થવાની શક્યતા રહેલી હોય સત્વરે ઢોર માલિકોને જાણ કરી રખડતા ઢોર અને ગાય પોતાના ઘરે બાંધી રાખવી નગરના માર્ગો પર રખડતી જોવા મળશે તો ઇડર પાંજરાપોળ મોકલી આપવા કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. જેથી અકસ્માતની ઘટનાઓ અટકે અને રખડતા પશુઓ રોડ પર અડિંગો જમાવતા ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ થતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થાય અને રખડતા ઢોરની સમસ્યાનો યોગ્ય નીકાલ કરવા તાકીદ કરી હતી.