ગાંધીનગર-

રાજયમાં જયારે કોરોના મહામારીનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે કેન્દ્રની સાથે રાજય સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઇ છે. આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોના જ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. જેમાં ઓકિસજન અને રેમડેસિવીર ઇન્જેકશન અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં મહત્ત્વનાં બે નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે કોરોનાના દર્દી પાસે આરટીપીસીઆરનો રિપોર્ટ નહીં હોય તો સિટી સ્કેનના રિપોર્ટનાં આધારે પણ દાખલ કરી શકાશે. આ સાથે અન્ય નિર્ણય લેવાયો છે કે, રેમડેસિવીર ઇન્જેકશનો માટે પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવશે.

આ બેઠકમાં ઓકિસજનના કુલ ઉત્પાદન સામે વપરાશ વધારે હોવાની વાત પણ ચર્ચાઇ હતી. આ સાથે રેમડેસિવીરની અછત અંગે પણ ચર્ચા થઇ હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે, કે આરટીપીસીઆરનો રિપોર્ટ આવતા એકથી બે દિવસનો સમય લાગી રહ્યો છે. ત્યારે જો સિટી સ્કેનનો રિપોર્ટમાં ગંભીરતા જણાતી હોય તો તેના આધારે પણ દર્દીને સારવાર આપી શકાશે. જેના કારણે દર્દીની સારવારમાં થોડું પણ મોડું ન થાય અને સારવાર શરૂ થઇ જાય. મહત્ત્વનું છે કે, આજે કેન્દ્ર સરકાર દ્વારા રાજયોને રેમડેસિવિર ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતને આગામી ૧૦ દિવસ સુધી એટલે કે ૩૦ એપ્રિલ સુધીમાં ૧,૬૩,૫૦૦ રેમડેસિવીર ઈન્જેકશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાંથી ૧,૨૦,૦૦૦ ઈન્જેકશન અમદાવાદની જ કંપની ઝાયડસના હશે. કેન્દ્ર સરકારે દેશનાં ૧૯ રાજયમાં આગામી ૧૦ દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે.