અમદાવાદ

કોરોનાનો કહેર હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તાંડવ કરી રહ્યો છે. અમદાવાદમાં આવેલ દુનિયાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં એક સાથે ૨૨ કોરોના કેસ મળી આવતા તંત્ર પણ અવાચક થઈ ગયું હતું. આ સાથે જ આઈઆઈએમના જૂના કેમ્પસમાં ૮૦ જેટલા રુમમે માઈક્રો કન્ટેમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યા છે. આઇઆઇએમએના અધિકારીઓએ દાવો કર્યો કે કેમ્પસમાં કોરોના ૧૨ માર્ચે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટી૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા ગયેલ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ્યો હતો. ૧૪ માર્ચના રોજ આ વિદ્યાર્થીઓના ગ્રુપ પૈકી ૬ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

આઇઆઇએમએના અધિકારીઓએ કહ્યું કે, જોકે ૨૩ માર્ચ સુધી કોઈ ખાસ કેસ નોંધાયા નહોતા પરંતુ આ દિવસે એક જ દિવસમાં ૧૧ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે આમ અચાનક કોરોના કેસ વધવા પાછળ જૂના કેમ્પસમાં આવેલ પીજીપી-૨ના વિદ્યાર્થીઓએ નામ ન આપવાની શરતે આરોપ મુકતા કહ્યું કે ઇન્સ્ટિટ્યુટ દ્વારા આ પોઝિટિવ વિદ્યાર્થીઓને ન તો આઇસોલેટેડ કરવામાં આવ્યા હતા ન તેમને ૧૮-૧૯ માર્ચના રોજ યોજાયેલ ઓફ લાઇન એક્ઝામમાં બેસવાથી રોકવામાં આવ્યા હતા. જેના કારણે કોરોના સંક્રમિતો બીજા બધાના સંપર્કમાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું.