ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની જમ્મુ કાશ્મીર મુદ્દે બેચેની બિલકુલ છુપી નથી રહી શકતી. કોઈક વખત તેઓ વાતચીતની રજૂઆત કરે છે તો કોઈક વખત વાતચીત માટે શરત રાખી દે છે. ત્યારે ઈમરાન ખાને ફરી એક વખત પાસા ફેંક્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના કહેવા પ્રમાણે જાે કાશ્મીરમાં સ્થિતિ ફરી પુનઃસ્થાપિત કરવામાં આવે તો તેઓ ભારત સાથે વાત કરવા માટે તૈયાર છે.

ઈમરાન ખાને કહ્યું હતું કે, 'જાે કાશ્મીરને લઈ કોઈ રોડમેપ તૈયાર છે તો હા, અમે વાત કરીશું.' જાેકે આ અંગે ભારત તરફથી કોઈ કોમેન્ટ નથી કરવામાં આવી. મોદી સરકારે ૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરી દીધી હતી. આ સાથે જ જમ્મુ કાશ્મીરને જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દેવામાં આવ્યું હતું. બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા. જાેકે જમ્મુ કાશ્મીરને વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. વધુમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, તેઓ અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા ફરે તે પહેલા એક રાજકીય સમજૂતી પર જાેર આપી રહ્યા છે જેથી પાડોશી દેશમાં ગૃહયુદ્ધના જાેખમને ટાળી શકાય. અમેરિકાએ પોતે ૧૧ સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવી લેશે તેવી જાહેરાત કરી હતી. છેલ્લા ૨ દશકા કરતા પણ વધારે સમયથી અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો તૈનાત છે. આ જાહેરાત બાદ અફઘાનિસ્તાનમાં હિંસામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે.

ઈમરાન ખાને જણાવ્યું કે, જ્યારથી અમેરિકાએ પોતાના સૈનિકો પાછા બોલાવી લેવાની જાહેરાત કરી છે ત્યારથી તાલિબાનને લાગી રહ્યું છે કે તેઓ જંગ જીતી ગયા છે. જાે અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાય અને શરણાર્થી સંકટ ઉદ્ભવે તો અફઘાનિસ્તાન બાદ પાકિસ્તાન સૌથી વધારે પ્રભાવિત થશે. ઘણા લાંબા સમયથી પાકિસ્તાન પર તાલિબાનના નેતાઓ અને તેના કટ્ટરપંથીઓને શરણ આપવાનો આરોપ લાગતો આવ્યો છે. એવું કહેવાય છે કે, ૧૯૯૬માં પાકિસ્તાનની મદદના કારણે જ તાલિબાન સત્તામાં આવી શક્યું હતું. આ તાલિબાન જ અમેરિકી સૈનિકો સામે લડાઈ લડ્યું હતું.