અમદાવાદ

શહેરમાં કોરોનાના કેસો સતત વધારી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોરોનાના કેસો કાબૂમાં લેવા માટે નવા નિયમો અને આદેશો જાહેર કરે છે. શહેરમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ કરાવ્યા બાદ આજે સવારથી અમદાવાદમાં હેર કટિંગ સલૂનની દુકાનો પણ બંધ કરાવવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો આજે સવારથી વિવિધ વિસ્તારોમાં હેર કટિંગ સલૂનની દુકાનો બંધ કરાવવા નીકળી હતી. જોકે ચાની કીટલીઓ અને પાનના ગલ્લાઓની જેમ હેર કટિંગની દુકાનો પણ ક્યાં સુધી બંધ રહેશે એની માહિતી આપવામાં આવી નથી.

શહેરમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગે શહેરના તમામ પાનના ગલ્લા અને ચાની લારીઓને બંધ કરાવી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લારી-ગલ્લા મ્યુનિ.એ અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી દીધા છે. મ્યુનિ.એ 2 હજાર જેટલા પાનના ગલ્લા અને 1500 જેટલી ચાની કીટલીઓ બંધ કરાવી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધી અમલી રાખવાનો આદેશ અપાયો છે. મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના તમામ લારી-ગલ્લાં બંધ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું. શહેરના તમામ વોર્ડના પાનના ગલ્લા અને ચાની લારીઓને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવ્યા છે.