ધોરાજી, ધોરાજીમાં ૫૦ વર્ષથી ચાલતી શાળા નંબર ૧૪ એ એક રોડ ઉપર આવેલ વ્યાપારી દુકાનોમાં ચાલે છે. સરકારના દાવા કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પોકળ સાબિત થાય છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડામાં આવેલ શાળા નંબર ૧૪ની, રોડ ઉપર આવેલ આ દુકાનોના લોખંડના શટર અડધા ખુલા અને બંધ છે. હક્કિતમાં કોઈ દુકાન નથી પરંતુ અહીં ચાલતી ધોરાજીની શાળા નંબર ૧૪ છે. આ શાળા ૧૯૬૨માં અસ્તિત્વમાં આવી ત્યારથી તે અહીં જ આ રોડ ઉપર આવેલ ભાડાની દુકાનોમાં બેસે છે.અહીં શાળામાં તમામ જાતની સુવિધા છે. લોખંડના શટર સાથેની આ દુકાનના ક્લાસ રૂમમાં પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ અને અભ્યાસુ ૧૪૭ જેટલા વિદ્યાર્થીઓ અને આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે જરૂરી ૬ થી ૮ જેટલા શિક્ષકો પણ હાજર છે, પરંતુ નથી વિદ્યાર્થીઓ માટે શાળાનું સારું મકાન કે નથી શાળામાં મેદાન, છે તો રોડ ઉપરની માત્ર દુકાનો અને અહીં પસાર થતા વાહનોના ઘોંઘાટ, આમ તો ૫૦ વર્ષથી ચાલતી આ શાળાના નવીનીકરણ માટે અનેક વખત રજૂઆતો અને માગ પણ થઇ હશે. પરંતુ છેલ્લા ૪ વર્ષથી તો શાળાના આચાર્ય અને આ વિસ્તારના આગેવાનો દ્વારા અનેક પત્ર વ્યવહાર અને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકારી તંત્રને તો અહીં રસ ન હોય તેવી હાલત છે, ત્યારે સામાજિક આગેવાનો અને વાલીઓ સરકારને પ્રશ્ન કરે છે કે આવી દુકાનોમાં ચાલતા વર્ગમાં ગુજરાત કેમ ભણશે ? કેમ ગુજરાત આગળ આવશે ? ૫૦ વર્ષથી રોડ ઉપર આવેલ દુકાનોમાં ચાલતી અને દુકાનોના ક્લાસરૂમ વાળી આ શાળાના મકાનની હાલત પણ અત્યંત જર્જરિત થઇ રહી છે. અહીં વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ તેના વર્ગની હાલત જાેઈને અહીં કેમ વર્ગમાં બેસવું તેવો પ્રશ્ન કરે છે. ચોમાસામાં અહીં વર્ગમાં પાણી અંદર આવી જાય છે. રોડ ઉપર જ વર્ગ હોય, વાહનોના અવાજ તો સામાન્ય છે. રિક્ષાના, ટ્રેકટરના મોટા મોટા અવાજ તો સામાન્ય છે. જયારે અહીં રોડ ઉપર રખડતા પશુ ઢોરનો ત્રાસ સામાન્ય છે. ઘણી વખત આ ઢોર વર્ગમાં અંદર પણ આવી જાય છે.અહીં વર્ગમાં અભ્યાસ મુશ્કેલ બની જાય છે.નાના નાના વિદ્યાર્થીઓ પણ પ્રશ્ન કરે છે કે હવે અમને નવી શાળા ક્યારે મળશે?આ શાળા આમ તો અહીં ૫૦ વર્ષથી ચાલે છે. તેને નવી બનવવા માટે અનેક રજુઆત થઇ હશે. પરંતુ છેલ્લા ૪ વર્ષથી આચાર્ય એવા મનવીર બાબરીયાએ અનેક રજૂઆતો અને પત્રો સરકારને લખી ચુક્યા છે. આ વિસ્તારના સાંસદ પણ અહીં મુલાકાત લઈ ચુક્યા છે. પરંતુ હજુ સુધી નવી શાળા બનાવવા માટે કોઈ સાંત્વના મળી નથી. શાળાને લઈને જયારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતાં તેઓએ તો તેઓ તરફથી સરકારના તમામ લગતા વળગતા વિભાગને પત્રો લખી ચુક્યા છે. નવી શાળા માટે મંજૂરી માંગી છે અને થોડી વહીવટી કાર્યવાહી બાકી હોય તે પુરી થતા જલ્દી નવી શાળા આપવમાં આવશે તેવું જણાવ્યું હતું. શિક્ષણ માટે મોટી મોટી વાતો કરતી સરકારને ધોરાજીની આ દુકાનોમાં ૫૦ વર્ષથી ચાલતી શાળા ક્યારેય દેખાણી નથી, ત્યારે ચોક્કસથી પ્રશ્ન થાય કે આવી રોડ ઉપરની વ્યાપારી દુકાનોમાં બેસી કે ગુજરાત કેમ ભણશે કેમ આગળ આવશે?