ગાંધીનગર-

ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ ત્રણ આંકડામાં આવી ગયા છે. લાગે છે જાણે હવે કોરોના હાંફી ગયો છે. કારણ કે, કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે 1100 થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 908 કેસો નોંધાયા છે. જ્યારે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 1102 દર્દીઓ સાજા થયા છે. હાલ કુલ 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13677 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3693 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 168081 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે જો કે સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા એકંદરે ઘટી રહી છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યમાં આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 908 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,68,081 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1102 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,50,650 લાખે પહોંચી ગઇ છે. 

ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણથી વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 2, સુરત શહેરમાં 1 અને રાજકોટ શહેરમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3693 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી 1892 અને સુરતમાં 836 લોકોના મોત થયા છે.

રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા 14 હજારથી ઘટીને 13,738 થઇ ગઇ છે, જેમાંથી હાલમાં 61 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,046 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 57,93,788 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,24,602 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,24,385ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 217 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.