અમદાવાદ-

ગુજરાતમાં આજે લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની મંજૂરી મળતા જ વેપારીઓમાં આવકની આશા જાગી છે. રાજય સરકારના આદેશ બાદ કેટલાક નિયંત્રણ હળવા કરાયા છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ત્યારે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. તેમની રોજગારી પર બ્રેક લાગી હતી. તેથી વેપારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.આગામી 27 મે સુધી આ છૂટછાટ અમલમાં રહેશે. ત્યારે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં મોટા માર્કેટ પણ ખૂલ્યા છે. અમદાવાદનું પ્રસિદ્ધ ગાંધી રોડ પરનું ઈલેક્ટ્રોનિક બજાર ખુલ્યું છે. લાંબા સમય બાદ બજારોમાં રોનક જોવા મળી છે. સરકારના નિર્ણયથી વેપારીઓએ ખુશીખુશી દુકાનો ખોલી છે.

વડોદરામાં આજથી દુકાન અને બજારો ખૂલ્યા છે. રાવપુરા વિસ્તારમાં સવારે 9 વાગ્યાથી તમામ વેપારીઓએ દુકાનો ખોલી છે. તો પગરખાં, કપડાં, નાસ્તાની લારી, બેલ્ટ, લેડીઝ કપડાં, દરજી કામ કરતા વેપારીઓ, ફરસાણની દુકાનો સહિતના વેપારીઓએ દુકાનો ખોલી છે. વેપારીઓએ સરકારનો આભાર માન્યો, અને હવે આવી જ રીતે ધંધો રોજગાર ચાલુ રાખવા દેવામાં આવે તેવી માંગ કરી છે. સરકારે ધંધો રોજગાર શરૂ કરવાની મંજૂરી આપી વેપારીઓને ઓક્સિજન પૂરો પાડ્યો છે. અમે વેપારીઓ તમામ નિયમોનું પાલન કરી ધંધો રોજગાર કરશે.