જૂનાગઢ, રાણીપમાં રહેતો યુવક દેવાદાર બની જતા લેણદારોથી કંટાળી જઈ ઉત્તરાયણના દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ યુવક ત્રણ માસથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રખડી રહ્યો હતો. આ યુવક પોલીસ સ્ટાફના ધ્યાને આવતા તેની પાસેથી જાણકારી મેળવી રાણીપ પોલીસની મદદથી તેના પરીવારને અત્રે બોલાવી મિલન કરાવ્યુ હતું. આમ જૂનાગઢ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતું. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે જૂનાગઢમાં રેલવે સ્ટેશન નજીક એક યુવક ચિંતામાં હોય તેવી પરિસ્થિતિમાં શંકાસ્પદ રીતે આંટા મારતો જાેવા મળ્યો હતો. જેના પર ડીવાયએસપી કચેરીના કમાન્ડોનું ધ્યાન જતા તેણે આ યુવકને પોલીસ કચેરી ખાતે લઈ આવ્યો હતા. બાદમાં બી ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલએ પુછપરછ કરતા તેણે પોતાનું નામ અમિત ગજ્જર (ઉ.વ.૩૮) હોવાનું અને પોતે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ૪૭ મૃદુલ એપાર્ટમેન્ટ કાશીબા રોડ પર રહેતો હોવાનું અને તે તા.૧૩-૦૧-૨૦૨૨ ના રોજ સવારે ૬ વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો કારણ કે, પોતાના પર દેવું થઈ ગયુ હોય જેથી લેણદારો શાંતી લેવા દેતા ન હોવાથી મોબાઈલ ફોન ઘરમાં મુકી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં ક્યારેક વાહનમાં અને ક્યારેક પગપાળા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રખડતો હોવાનું જણાવતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. બાદમાં યુવકે તેના ભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો જેના પર પોલીસે સંપર્ક કરતા તે બંધ આવતો હતો. આ અંગે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ રાણીપ પોલીસનો સંપર્ક કરી તપાસ કરાવતા ગત તા.૧૭-૧-૨૨ ના રોજ મળી આવેલ અમિત ગજ્જરના પત્ની ડિમ્પલબેન દ્વારા તેના પતિ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જેના આધારે યુવકના ભાઈ ભાવિક ગજ્જર સાથે મોબાઈલ ફોનથી વાત કરતા તેઓ અને ઘરના તમામ સભ્યો છેલ્લા ત્રણ મહિનાથી અમિતની ભાળ મેળવવાને લઈ ચિંતાતુર હતા. જૂનાગઢમાં તેમનો ભાઈ મળી આવ્યો હોવાના સમાચાર સાંભળીને તુરંત નીકળી જઈ તેમના પરીવારજનો જૂનાગઢ લેવા આવી પહોંચ્યા હતા. અહીં પોલીસ અધિકારીઓએ યુવકનું તેના પરીવાર સાથે મિલન કરાવતા હાજર સૌ ભાવવિભોર થઈ ગયા હતા.