રાજકોટ-

જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી હતી. બાદ મેઘરાજાએ એક માસથી વિરામ લઇ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. સવારથી ફરી મેઘરાજાએ જિલ્‍લામાં દસ્‍તકના પગલે મગફળી, સોયાબીન જેવા પાકોને નવુ જીવન મળતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો હતો. ગીર સોમનાથ જિલ્‍લાના વેરાવળ, તલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં મેઘરાજાએ થોડો વરસાદ વરસાવ્યો હતો. વાવણી નિષ્‍ફળ જવાની ચિંતામાં ખેડૂતો મુંઝવણભરી સ્‍થ‍િતિમાં મુકાઈ ગયા હતા અને કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે, હવામાન વિભાગે 11 જુલાઇથી સૌરાષ્‍ટ્રના જીલ્‍લાઓમાં વરસાદ આવશે તેવી આગાહી કરી હતી.

જિલ્લાના છએય તાલુકામાં 10 જૂલાઈ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયાની સાથે મોટાભાગના વિસ્‍તારોમાં મેઘરાજાએ સાર્વત્રીક વરસાદી ઝાપટા રૂપી હેત વરસાવ્યું હતું. લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ દસ્‍તક આપતા છવાયેલા વરસાદી માહોલના પગલે ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. સવારે 6થી બપોરે 4 વાગ્‍યા સુઘીમાં જિલ્‍લાના છએય તાલુકામાં સાર્વત્રીક અડઘો ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્‍લામાં સૌથી વઘુ કોડીનારમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે બાકીના તાલુકાઓમાં વેરાવળમાં 3 MM, સુત્રાપાડામાં 12 MM, તલાલામાં 17 MM, ઉનામાં 18 MM, ગીરગઢડામાં 5 MM વરસાદ વરસ્યો છે.