રાજકોટ, વસંતપંચમીનો શુભ દિવસ છે. રાજકોટમાં બે ગમખ્વાર અકસ્માતે વસંતપંચમીએ જ બે યુવકને કાળ ભરખી જતાં બંનેના પરિવારમાં આ દિવસ અશુભ બન્યો છે. વહેલી સવારે રાજકોટ-શાપર હાઇવે પર જૂનાગઢના અરવિંદ ડાંગર (ઉં.વ.૩૯) સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પુલ પરથી ૩૦ ફૂટ નીચે નદીમાં ખાબકી હતી, જેમાં અરવિંદનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અરવિંદ શિક્ષક હતો અને ચાર બહેનનો એકનો એક ભાઈ હતો. જ્યારે ગત મોડી રાત્રે રાજકોટના જૂના માર્કેટ યાર્ડ પાસે ટ્રકે યુવકને ચગદી નાખ્યો હતો. રાજકોટ-શાપર હાઈવે પર જૂનાગઢ તરફ જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ ડાંગર કાર લઈને જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પુલ પરથી કાર સીધી નદીમાં ખાબકી હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અરવિંદ કારની નીચે દબાય જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.