ગાંધીનગર

રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. ત્યારે સુગર ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ ફંગસનું જોખમ વધ્યું છે. આ પ્રકારની બીમારી ધરાવતા દર્દીઓનું પ્રમાણ પણ રાજ્યમાં ચિંતાનું કારણ બન્યું છે. અમદાવાદમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

શહેરમા સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની બીમારી ધરાવતા 30થી વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હાલમાં અમદાવાદ સિવિલ ખાતે દરરોજના સરેરાશ 3 થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો ત્યારથી ડિસેમ્બર સુધી મ્યુકોરમાઇકોસિસના 125 દર્દીઓને અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામં આવી હતી. આ પછી ફેબ્રુઆરી સુધી તેના માંડ 2 જેટલા દર્દી આવ્યા હતા. પરંતુ છેલ્લા 10 દિવસથી ફરી એકવાર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં વધારો થયો છે. મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા દર્દીનો સી.ટી-સ્કેન અને MIR કરાવી ઇન્ફેક્શનનું પ્રમાણ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત ફંગસનું સેમ્પલ લઇ તેની બાયોપ્સી કરવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ફંગસ આંખ, નાક અને મગજ સહિતના શરીરના કયા-કયા ભાગમાં ફેલાઇ ચૂકી છે તેનું નિદાન કરવામાં આવે છે.આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે, 'કોરોના થાય તો વિશેષ કરીને ડાયાબિટિસના દર્દીઓએ ડાયાબિટિસમાં વધારો ન થાય તેની વિશેષ તકેદારી રાખવી જોઇએ. કોરોનાની સારવાર બાદ ખાસ કરીને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટિસના દર્દીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન હોય છે. સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેમાં ફંગલ ઇન્ફેક્શન થાય અને ત્યારબાદ તે ગતિ પકડે છે.આ ઉપરાંત દર્દીને ઉપલા જડબામાં દુખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું, સાયનસના ઇન્ફેક્શન સાથે માથામાં અસહ્ય દુઃખાવો થવો, મોઢાના ભાદમાં સોજો આવવો જેવા કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત ઇએનટી સર્જનનો સંપર્ક કરવો જોઇએ.