દિલ્હી-

લાઇન ઑફ કન્ટ્રોલ પરથી લશ્કર ખસેડી લેવાના મુદ્દે ચીન સાથે સંમતિ સધાઇ હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.. છઠ્ઠી નવેંબરે બંને પક્ષના કોર કમાન્ડર લેવલે થયેલી ચર્ચામાં આ મુદ્દો ઉપસ્યો હતો અને બંને પક્ષ પોતપોતાના લશ્કરને ખસેડી લેવા સંમત થયા હતા. આ બેઠકમાં ટેંકો અને આર્મર્ડ વાહનો પણ ખસેડી લેવાના મુદ્દે સંમતિ સધાઇ હતી. કેટલાંક સ્થળેથી ગતિરોધ હટાવવાના મુદ્દે પણ બંને પક્ષ સંમત થયા હતા. 

ભારતીય લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું કે લદ્દાકમાં તનાવના મુદ્દે બંને પક્ષના લશ્કરી અધિકારીઓ વચ્ચે આઠમા તબક્કાની ચર્ચા ચુશુલમાં યોજાઇ હતી. આ ચર્ચા રચનાત્મક નીવડી હતી. બંને પક્ષે સઘન મુદ્દા ચચ્ર્યા હતા. સ્પષ્ટ શબ્દોમાં થયેલી આ વાતચીત દરમિયાન ભારત અને ચીને એક સહિયારા નિવેદનમાં સ્વીકાર્યું હતું કે બંને પક્ષે પોતપોતાના લશ્કરને પાછાં ખેંચવાના મુદ્દે સહમતિ સાધી હતી અને કોઇ પણ પ્રકારની ગેરસમજથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.

બીજિંગ અને નવી દિલ્હીમાં પ્રગટ કરાયેલા નિવેદનમાં જણાવાયા મુજબ બંને પક્ષે રાજદ્વારી નેતાઓ અને લશ્કરી અધિકારીઓ વચ્ચે સંવાદ સાધવા અને વિચાર વિનિમય દ્વારા આગળ વધવા સહમતિ સાધી હતી. શુક્રવારે છઠ્ઠી નવેંબરે ચુશુલમાં સાડા દસ કલાક ચાલેલી મંત્રણાના પગલે આ સહમતિ સધાઇ હતી.