દિલ્હી-

ઈરાનએ ચાબહાર રેલ પરિયોજનાથી ભારતને બહાર કરવાનો કે પછી ચીનની સાથે ડિલ થવા બાદ ભારત સાથે છેડો ફાડ્યો હોવાના તમામ અહેવાલોને અફવા અને કાવતરું ગણાવ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ભારત સૌથી નિકટતમ સહયોગી પૈકીનું એક છે અને તે હંમેશા ચાબહાર પરિયોજનાનો હિસ્સો રહેશે. ઈરાને કહ્યુ કે એક ભારતીય અખબારે ચાબહાર ડીલની શરતોને વાંચ્યા વગર અહેવાલ પ્રકાશિત કર્યો, જેનાથી આ અસમંજસની સ્થિતિ ઊભી થઈ. ચાબહાર રેલ પરિયોજનામાં ભારતની જે ભૂમિકા હતી, તે પહેલાની જેમ જ બરકરાર છે. ઈરાનના પોર્ટ એન્ડ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનના ફરહદ મોંતાજિરે કહ્યુ કે, આ દાવો સમગ્રપણે ખોટો છે. તેઓએ જણાવ્યું કે, ચાબહારમાં રોકાણ માટે ઈરાને ભારતની સાથે માત્ર બે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. એક પોર્ટની મશીનરી અને ઉપકરણો માટે અને બીજી ભારતના 150 મિલિયન ડાૅલરના રોકાણને લઈને છે.

કુલ મળીને તેઓએ સ્પષ્ટ કર્યું છે કે ચાબહારમાં ઈરાન-ભારતના સહયોગ પર કોઈ પ્રકારના પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યા. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા એવા રિપોટ્‌ર્સ સામે આવ્યા હતા કે ઈરાને ભારતને ચાબહાર રેલ પરિયોજનાથી બહાર કરી દીધું છે. માનવામાં આવી રહ્યુ હતું કે આવું ઈરાન-ચીનની વચ્ચે થઈ રહેલી 400 અબજ ડાૅલરની ડીલની અસર છે. ગત સપ્તાહે ઈરાનના ટ્રાન્સપોર્ટ અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ ઈસ્લામીએ 628 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને બનાવવાના કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રેલવે લાઇનને અફઘાનિસ્તાનથી જરાંજ સરહદ સુધી લંબાવવાની છે. અંગ્રેજી અખબારના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે

ઈરાને એવું કહેતા ભારતને આ ડીલથી બહાર કરી દીધું છે કે ભારત તેના માટે ફંડ પૂરું નથી પાડી રહ્યુ. ઈરાને તેનું ખંડન કરતાં કહ્યુ છે કે ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટથી બહાર કરવાનો સવાલ જ ઊભો થતો નથી, જાેકે ભારતની ભૂમિકા આ ડીલમાં એ નથી જે આ રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. ઈરાનના ટ્રાન્સપોર્ટ અને રેલવે વિભાગના ડેપ્યૂટી મિનિસ્ટર સઈદ રસૌલીએ આ અહેવાલોનું ખંડન કરતાં કહ્યુ છે કે આ રિપોર્ટો પાછળ કોઈ કાવતરું છે. આ રેલ પ્રોજેક્ટ ચાબહાર પોર્ટથી જહેદાનની વચ્ચે બનાવવામાં આવશે.