પૂણે-

કોરોના મહામારી વિરુદ્ધ ભારત હવે મજબૂત સ્થિતિમાં જાેવા મળી રહ્યુ છે. અહીં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે, એવામાં દેશને કોરોના સંક્રમણ સામે ત્રીજી વેક્સીન પણ મળે એવી આશા જાગી છે. આ મુદ્દે સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, તેઓની કંપની કોરોના વાયરસની બીજી વેક્સીન આ વર્ષે જૂનમાં લોન્ચ કરી શકે છે. તેમના મુજબ આ વેક્સીનને મંજૂરી મળતાં જ દેશને કોરોના વાયરસની ત્રીજી વેક્સીન મળી જશે.

પૂનાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ વેક્સીનનુ ટ્રાયલ કરી રહી છે અને તેના પરિણામ ઘણા પ્રભાવશાળી આવ્યા છે. ભારતમાં વેક્સીનના ટ્રાયલ માટે પ્રક્રિયા શરુ કરેલ છે, જે પછી આશા છે કે, જૂન ૨૦૨૧ સુધી વેક્સીન લોન્ચ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની સ્વદેશી વેક્સીન કોવાક્સીન દેશભરમાં લોકોને લગાવવામાં આવી રહી છે. હાલમાં ભારતમાં ત્રણ વેક્સીન સિવાય અન્ય ચાર વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ તેના પહેલા તબક્કાની શરુઆત ૧૬ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી ૩૩ લાખ સ્વાસ્થ કર્મચારીઓને કોરોના વેક્સીન લાગી ચૂકી છે અને પહેલી ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવશે.