નવી દિલ્હી,તા.૨૯ 

ભારતના નિતિન મેનનનો આઈસીસીની એમ્પાયર્સની એલાઇટ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીઝિન ૨૦૨૦-૨૧ માટે તેમની પસંદગી કરવામાં આવ્યા છે, તે ઈંગ્લેન્ડના નાઇજેલ લોંગનું સ્થાન લેશે. ૩૬ વર્ષીય મેનન ૩ ટેસ્ટ, ૨૪ વન ડે અને ૧૬ ટી-૨૦માં એમ્પાયરિંગ કરી ચુક્્યા છે. નિતિન મેનન આઈસીસીની પેનલમાં સામેલ થનારા માત્ર ત્રીજા ભારતીય એમ્પાયર છે. આ પહેલા પૂર્વ કેપ્ટન એસ વેંકટરાઘવન અને એસ રવિની આઈસીસી પેનલમાં પસંદગી થઈ હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપ માટે આઈસીસીએ જાહેર કરેલા એમ્પાયરના લિસ્ટમાં નિતિન મેનનને સ્થાન મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તેઓ આ લિસ્ટમાં ભારતના એકમાત્ર એમ્પાયર હતા. મેનન મધ્યપ્રદેશની ટીમ તરફથી રમતા હતા. એમપી તરફથી બે મેચમાં માત્ર સાત રન બનાવી શક્યા હતા. જે બાદ ૨૦૦૬માં બીસીસીઆઈની અખિલ ભારતીય એમ્પાયર પરીક્ષા પાસ કરી અને ઘરેલુ મેચમાં અમ્પાયરિંગ શરૂ કર્યુ હતું. તેના પિતા નરેન્દ્ર મેનન પૂર્વ આંતરરાષ્ટ્રીય એમ્પાયર રહી ચુક્યા છે.