વડોદરા

શહેરના પૂર્વ વિસ્તારમાં સોમા તળાવમાં રહેતી એક પરિણીતાને તેની બહેનનું ઘર ભાંગવા બદલ હવે પેટ ભરીને પસ્તાવાનો વારો આવ્યો છે. ત્રણ સંતાનો અને પિતરાઈ બહેનના પતિ સાથે કેટલાંય સમયથી પ્રેમસંબંધ બંધાયો હતો. બનેવી સાથે વધુ પડતી છૂટ અને બનેવીનો સહવાસ શોધતી પાયલ ઉપર બહેનને શરૂઆતથી જ શંકા હતી. પરંતુ ગૃહકલેશ અને બંને બાળકોનું ભવિષ્ય વિચારીને તે આંખ આડા કાન કરી રહી હતી. બહેનની મજબૂરીનો બનેવી અને સાળીએ લાભ ઉઠાવી મર્યાદા ઓળંગી બંને રંગરેલિયાં મનાવી રહ્યાં હતાં. પાયલ અને પતિ વચ્ચેના પ્રેમસંબંધને નજરે જાેનાર પત્નીની શંકા મજબૂત બની હતી, જેથી પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ, ગૃહકલેશ શરૂ થયો હતો. જેમાં પતિએ પત્નીને છોડી પાયલ સાથે રહેવાનો નિર્ણય કરતાં પત્ની તેના બાળકો સાથે અલગ રહેવા ચાલી ગઈ હતી. સાળીના પ્રેમમાં પાગલ બનેલા પતિએ પાયલ સાથે ત્રણ વર્ષનો મૈત્રીકરાર કરી ડભોઈ રોડ પર આવેલ એક સોસાયટીમાં અલગ રહેવાનું શરૂ કર્યું હતું.

જાે કે, અનૈતિક સંબંધો બહુ લાંબા ટકતા નથી એ હકીકતને સત્યાર્થ કરતા પતિ અને પાયલ બંને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. બનેવીએ સાળી પાયલના દાગીના ત્રણ વર્ષ માટે પોતાની પાસે રાખ્યા હતા જે મૈત્રીકરાર પૂરા થતાં તે પાયલે પરત માગ્યા હતા. દાગીના ગીરવે મુકી ઘરખર્ચ કર્યો હોવાનું કારણ આગળ ધરી દાગીના નહીં આપતાં બંને વચ્ચે ઉગ્ર ખટરાગ થયો હતો. સાળી પાયલ ભાગી ન જાય અને કોઈ કાર્યવાહી ન કરે તે માટે બનેવીએ સાળીને ઘરમાં પૂરી રાખવાનું શરૂ કર્યું હતું. આખરે પ્રેમી બનેવીના ત્રાસથી કંટાળેલી જઈને સાળીએ અભયમ્ની મદદ લીધી હતી અને અભયમ્ની ટીમે સાળી-બનેવીને કાઉન્સિંગ કરી બંનેને છૂટા પાડયા હતા અને સાળીએ પિયરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતાં તેણીને મોકલી આપવામાં આવી હતી.