શ્રીનગર -

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના નેતા અને સરપંચ સજ્જાદ એહમદ ખાંડેની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આતંકવાદીઓએ કાંઝીકુંડમાં ભાજપના સરપંચ સજ્જાદ એહમદ પર તેમના નિવાસ સ્થાન પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ગુરુવાર સવારે બની હતી. વીતેલા ત્રણ દિવસોમાં આતંકીઓ દ્વારા સરપંચ પર આ ત્રીજો હુમલો છે. અગાઉ આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં અખરનના ભાજપ સરપંચ પર હુમલો કર્યો હતો જેમાં સરપંચ આરિફ એહમદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

ગયા મહિને ભાજપના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ વસીમ બરી, તેમના પિતા અને ભાઈની દુકાનમાં ઘુસીને આતંકીઓએ તેમની હત્યા કરી દીધી હતી. વસીમ બરીને પોલીસ સુરક્ષા પણ મળી હતી ત્યારબા તેમની સુરક્ષામાં તહેનાત તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા કેમકે હુમલાના સમયે તેઓ વસીમની સાથે હાજર નહતા.