શ્રીનગર-

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નસીરુદ્દીન લોન સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. લોન આ વર્ષની શરૂઆતમાં સીઆરપીએફના છ જવાનોની હત્યામાં સામેલ હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અથડામણ હંદવાડાના ગનિપોરા ક્રાલગુંડ વિસ્તારમાં થઇ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા હતા. કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક નસીરુદ્દીન લોન હતો, જે સોપોરમાં 18 એપ્રિલના રોજ સીઆરપીએફના ત્રણ જવાનોની હત્યામાં સામેલ હતો અને 4 મેના રોજ હંદવાડામાં સીઆરપીએફના વધુ 4 જવાનોની હત્યામાં સામેલ હતો.