જામનગર-

સોમવાર સવારે આ તબીબોએ જામનગર મેડિકલ કોલેજ ખાતે સરકાર વિરુદ્ધ પોતાની લાગણી અને માંગણી પત્રકારો સમક્ષ પ્રગટ કરી હતી અને પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ રીતે રોષ વ્યક્ત કર્યો હતો. પોતાની માંગણીને લેખિત નોંધ પત્રકારો સમક્ષ તેમજ હોસ્પિટલના ડીન અને રાજ્ય સરકારમાં કરી છે. ઇન્ટરનેટ તબીબોએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પણ લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આખરે તબીબોએ હડતાળ કરવા મજબુર બન્યા છે.

શહેર સહિત રાજ્યભરમાં મેડિકલ કોલેજ સાથે તેમજ અન્ય શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટરર્ન તબીબો મોંઘવારીના યુગમાં ઓછા વેતનથી કામ કરી રહ્યા છે અને તેમની પાસે તબીબી ડિગ્રી છે, પરંતુ આ આશ્ચર્યની વાત એ છે કે તબીબી ડીગ્રી ન ધરાવતા વિજ્ઞાનના સ્નાતકોને સરકાર વધુ પગાર આપે છે. આ ડિગ્રી ધરાવતા ડોકટરો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે એવું જામનગરમાં તબીબોએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, જો સરકાર તેઓની લાગણી અને માગણીની સમસ્યા નહીં ઉકેલાઇ તો જામનગરના 850 જેટલા તબીબો સહિત રાજયભરના તબીબો હડતાળ કરી રહ્યા છે. 

કોરોના કાળ દરમિયાન એપ્રિલ મહિનાથી માંડીને આજની તારીખ સુધી આ તબીબોએ સરકારી હોસ્પિટલમાં રાતદિન જોયા વિના સતત કામ કર્યું છે. આ દરમિયાન 150 જેટલા તબીબો કોરોના સંક્રમિત થયા છે. સ્વસ્થ બન્યા પછી તબીબોએ ફરીથી ફરજમાં જોડાયા છે. આ તબીબોને માસિક રૂપિયા 12000 આપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તબીબ છાત્રોની સરખામણીએ જામનગરના તબીબોને ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે. આ તબીબોએ માંગણી કરી છે કે, સરકારી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા તમામ તબીબોનું સ્ટાઈપેન્ડ માસિક રૂપિયા 20,000 કરવામાં આવે અને એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવે.