નવી દિલ્હી

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ  જલ્દીથી જ લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે. આ વાતની જાણકારી ANI દ્વારા દર્શાવાઇ છે. બુમરાહ હાલમાં જ ઇંગ્લેંડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચથી પોતાનુંં નામ પરત લઇ લીધુ હતુંં. બુમરાહ એ આ દરમ્યાન વ્યક્તિગત કારણોસર દર્શાવીને ટેસ્ટથી હટી જવાનો નિર્ણય કર્યો હતો. ટેસ્ટ શ્રેણી બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી 12 મી માર્ચથી પાંચ T20 મેચોની રમત રમાનારી છે. જેમાં તેને આરામ આપવામાં આવ્યો છે.

બુમરાહની રજાઓને લઇને આમ તો BCCI અને બુમરાહ દ્વારા વ્યક્તિગત કારણોને આગળ ધરવામાં આવ્યુ હતુંં. બુમરાહ સાથે જોડાયેલા સુત્રોએ બતાવ્યુંં હતુંં કે, આ ખેલાડી એકાદ સપ્તાહમાં જ લગ્ન કરશે. એક સ્પોર્ટસ એંકર સાથે તેના લગ્ન ગોવામાં યોજાનારા છે. જોકે તારીખ અને આયોજન ગુપ્ત રાખવામાં આવ્યુંં છે. હાલમાં ઇંગ્લેંડ સામે શ્રેણી રમાઇ રહી છે અને ટીમ બાયોબબલમાં છે, એટલા માટે જ તેમના લગ્નમાં ટીમ ઇન્ડીયાના તેના સાથીઓનુંં સામેલ થવુ પણ મુશ્કેલ છે.

બીસીસીઆઇના એક પદાધીકારીએ પણ આ વાતને સમર્થન આપ્યુંં હતુંં. લગ્ન બાદ બુમરાહની ક્રિકેટમાં વાપસી હવે કદાસ સીધી જ આઇપીએલમાં થઇ શકે છે. જેની શરુઆત આગામી એપ્રિલ માસ દરમ્યાન થઇ શકે છે. બુમરાહ એ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમી હતી અને બાદમાં બીજી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહને ત્રીજી ટેસ્ટમાં પ્લેયીંગ ઇલેવનમાં તો સ્થાન અપાયુ હતુંં, પરંતુ તેને વધારે બોલીંગ કરવાની તક મળી શકી નહોતી. કારણ કે સ્પિનર આર અશ્વિન અને અક્ષર પટેલ એ ઇંગ્લેંડના બેટ્સમેનો માટે પરેશાની સર્જી દીધી હતી.