મુંબઈ

સ્વાધ્યાય પરિવારના પ્રમુખ ધનશ્રી તળવલકર (જયશ્રી દીદી)ના પતિ ડો.શ્રીનિવાસ તળવલકર (રાવસાહેબ)નું અવસાન થયું છે. ૭૨ વર્ષિય તળવલકરનું હિંદુ કોલોની, માટુંગા સ્થિત તેમના નિવાસ સ્થાને ૧૮ જાન્યુઆરી એટલે કે ગઈકાલે અવસાન થયુ હતુ. તેઓ સ્વાધ્યાય પરિવારના પ્રવર્તક પહ્મવિભૂષણ પાંડુરંગશાસ્ત્રી આઠવલે (દાદાજી)ના જમાઈ હતા.

સ્વાધ્યાય પરિવારના વૈશ્વિક સ્તરે વિશાળ કાર્યને સંભાળતી વખતે રાવ સાહેબનો સહકાર દીદીજીને મળ્યો હતો. અખિલ સ્વાધ્યાય પરિવાર માટે રાવસાહેબ તળવલકર અત્યંત આદરણીય અને લાડકું વ્યક્તિત્વ ધરાવતા હતા. રાવસાહેબ તળવલકરના આકસ્મિક અવસાનને લીધે સ્વાધ્યાય પરિવારના લાખો સ્વાધ્યાયીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

તેમના અંતિમ સંસ્કાર તત્વજ્ઞાન વિદ્યાપીઠ, થાણે ખાતે કરવામાં આવી રહ્યા છે. કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખી અંતિમ સંસ્કારમાં ફક્ત પરિવારના સભ્યો જ ભાગ લઈ રહ્યા છે.