જૂનાગઢ-

ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભીખુદાન ગઢવીની ધર્મપત્ની ગજરા બાનું 69 વર્ષની વયે જૂનાગઢ ખાતે નિધન થયું છે. ગજરા બા ના નિધનથી ભીખુદાન ગઢવીના પરિવારમાં શોકનો માહોલ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુક સહિતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગજરા બાનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. સ્વ. ગજરા બાની ઉંમર 69 વર્ષ હતી. તેમનું પિયર અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાની સનાળી ગામ હતું. 1970ના વર્ષમાં તેમના લગ્ન પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે થયા હતા. 

ગજરા બાના પિતાનું નામ મેકરણભાઈ લીલા છે. તેમના દાદા ગગુભાઈ લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ગુરૂ હતા. ભીખુભાઈ અને ગજરા બાને સંતાનોમાં ત્રણ દીકરી અજંના બા, મીના બા, હીરલ બા અને એક દીકરો ભરત ગઢવી છે. ગજરા બાના નિધનથી પરિવારના તમામ સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે. પરિમલ નથવાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી   રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીના જુનાગઢ ખાતે થયેલાં નિધન વિશે જાણીને ખૂબ દુ:ખ થયું. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. ૐ શાંતિ!"