કાનપુર-

કાનપુરમાં વાંઝિયાનું મહેણું ટાળવા માટે મેલી વિદ્યાના પ્રયોગો કરવા છ વર્ષની બાળકીની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યારા ૨૦ વર્ષનો અંકુર કુરિલ અને ૩૧ વર્ષનો બિરેન તેમ જ કાવતરામાં સામેલ પુરુષોત્તમ કુરિલની ધરપકડ કરી હતી.

કાનપુર પાસેના જંગલ જેવા ઘાટમપુર વિસ્તારના ભદરાસ ગામમાંથી છ વર્ષની બાળકી દિવાળીની રાતે ગુમ થઈ હતી. તેનો મૃતદેહ ખરાબ હાલતમાં મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એ બાળકી પર સામૂહિક બળાત્કાર બાદ તેનાં ફેફસાં અને હૃદય કાઢી લેવાયાં હતાં. અંકુર અને બિરેને એ ફેફસાં અને હૃદય પુરુષોત્તમ કુરિલને આપ્યાં હતાં. પુરુષોત્તમ કુરિલે સ્ત્રીનું વાંઝિયાનું મહેણું ટાળવા એટલે કે વંધ્યત્વ નિવારણ માટે મેલી વિદ્યા-કાળા જાદુના પ્રયોગો માટે મૃત બાળકીનાં ફેફસાં અને હૃદય લાવી આપવાનું કામ સોંપ્યું હતું. 

પુરુષોત્તમ કુરિલની ધરપકડ બાદ તેની પત્નીને પણ આ બાબતની જાણકારી હોવાની શંકા પોલીસને હતી. એથી તેને પણ અટકાયતમાં લેવામાં આવી હતી. પુરુષોત્તમે પોલીસને જણાવ્યું હતું કે તેનાં લગ્ન ૧૯૯૯માં થયાં હતાં, પરંતુ હજી સુધી તેમને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. એથી મેલી વિદ્યાના પ્રયોગ-કાળા જાદુની વિધિઓ દ્વારા સંતાનપ્રાપ્તિના પ્રયાસો શરૂ કર્યા હતા. એ માટે તેણે નાની ઉંમરની બાળકીનું અપહરણ અને હત્યા કરીને તેનાં ફેફસાં અને હૃદય લાવી આપવા માટે ભત્રીજા અંકુર અને તેના મિત્ર બિરેનને સમજાવ્યા હતા.

પુરુષોત્તમે પોલીસને જણાવ્યા પ્રમાણે બન્નેએ શનિવારે રાતે ખૂબ દારૂ પીધો હતો. નશામાં ચકચૂર અંકુર અને તેનો મિત્ર બિરેન ભદરાસ ગામમાંથી બાળકીને ફટાકડા ખરીદવાની લાલચ આપીને ઉપાડી ગયા હતા. બાળકીને જંગલમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી તેની હત્યા કરીને છાતીમાંથી ફેફસાં અને હૃદય કાઢી લીધાં હતાં. 

પોલીસે જણાવ્યા પ્રમાણે શનિવારે સાંજે પરિવારના સભ્યો દિવાળીની પૂજાની તૈયારી કરતા હતા ત્યારે બાળકી ગુમ થઈ હતી. રાતે ફ્લડ લાઇટ્સ વાપરવા છતાં બાળકી મળી નહોતી. રવિવારે સવારે જંગલના રસ્તેથી પસાર થતા લોકોને બાળકીનો મૃતદેહ દેખાયો હતો. તેનાં ચંપલ અને કપડાં એક ઝાડ નીચેથી મળ્યાં હતાં. પોલીસે ગુનેગારોને શોધવા સ્નિફર ડૉગ્સની પણ મદદ લીધી હતી.