અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ ના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇ ને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્યમંત્રીએ સદગત કેશુભાઈના પ્રદાનની સરાહના કરતા જણાવ્યુ હતુ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.