ગલવાન ઘાટીમાં ચીનની નાપાક હરકત બાદ ભારતમાં તેની સામે માહોલ ગરમ થઇ ચુક્યો છે. સોમવારે ભારત સરકારે ૫૯ ચીની એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંગળવારે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના માલિક નેસ વાડિયાએ પણ ચીની કંપનીઓની સ્પોન્સરશીપને/કરારને રદ કરવા માટે માંગણી કરી છે. કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ આ મહિનાની શરૂઆતમાં પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે થયેલા તણાવના કારણે મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચીનની કંપનીઓના સ્પોન્સરને ધીમે ધીમે ખતમ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ ચીને ૨૦ ભારતીય સૈનિકોને શહીદ કર્યા બાદ ચીનના ઉત્પાદનોના બહિષ્કારની માંગણી સતત વધી રહી છે અને ઠેર ઠેર વિરોધના વંટોળ પણ દેશમાં જોવા માટે મળી રહ્યા છે. 

ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદ BCCI એ ચીની કંપનીઓના સ્પોન્સરશીપ માટેની સમીક્ષા માટે આઈપીએલ સંચાલન પરિષદની બેઠક બોલાવવી પડી હતી પરંતુ હજુ સુધી થઇ શકી નથી. વાડિયાએ PTI ને કહ્યું હતું કે, આપણે દેશ માટે થઈને આઈપીએલમાં રહેલા ચીનના સ્પોન્સર સાથે સંબંધો તોડવા જોઈએ. દેશ પહેલા છે, રૂપિયા પછી પણ છે છે. આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, ચીન પ્રીમિયર લીગ નથી. તેનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ અને રસ્તો બતાવવો જોઈએ.

નેસ વાડિયાએ વધુમાં કહ્યું હતું કે, હા, શરૂઆતમાં સ્પોન્સર શોધવા માટે મુશ્કેલ થશે પરંતુ મને લાગે છે કે ભારતમાં પર્યાપ્ત માત્રામાં સ્પોન્સર છે અને તેઓ તેમની જગ્યા લઇ શકે છે. આપણા દેશ અને સરકારનું સન્માન કરવું જોઈએ અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે સૈનિકો આપણો જીવ બચાવવા માટે પોતાનું જીવન જોખમમાં નાખીને દેશની સેવા કરી રહ્યા છે તેનું સન્માન કરવું જોઈએ.

નોંધનીય છે કે, ચીનની મોબાઈલ ફોન કંપની "વીવો" આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર છે અને ૨૦૨૨ સુધી ચાલનારા કરાર હેઠળ દર વર્ષે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ૪૪૦ કરોડ રૂપિયા આપી છે. આઈપીએલ સાથે જોડાયેલી કંપનીઓ પેટીએમ, સ્વિગી અને ડ્રીમ ઈલેવન પંજાબમાં પણ ચીની કંપનીઓનું રોકાણ છે. માત્ર આઈપીએલ જ નહિ ઘણી ટીમોને પણ ચીની કંપનીઓ સ્પોન્સરશીપ આપે છે. વાડિયાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સહીતની ટીમ સરકારના નિર્ણયને સ્વીકારશે. સીએસકેના એક સુત્રે જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમની જગ્યા મેળવવી મુશ્કેલ પડશે પરંતુ દેશહિતને લઈને એવું કરવામાં આવે છે તો કરવું જોઈએ.

એક અન્ય ટીમ માલિકે કહ્યું હતું કે, સરકારને નિર્ણય કરવા દ્યો, તેઓ જે પણ નિર્ણય કરશે તેનો અમે અમલ કરીશું. વાડિયાએ કહ્યું હતું કે, આ વિવાદાસ્પદ મામલે સરકારના આદેશોની રાહ જોવી યોગ્ય નથી કારણે આ સમયે દેશ સાથે ઉભા રહેવાની આપણા સૌની નૈતિક જવાબદારી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો હું BCCI અધ્યક્ષ હોત તો, આગામી સત્ર માટે ભારે ભારતીય સ્પોન્સર જ જોઈએ તેવું હું કહેતો હોત. વાડિયાએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે જણાવતા કહ્યું હતું કે, ચીની એપને પ્રતિબંધ કરીને સરકારે યોગ્ય કામ કર્યું છે, હું તેમના નિર્ણયને સ્વીકારું છું, તેમના નિર્ણયનું સ્વાગત કરું છું.