દિલ્હી-

લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા ડો. શશિ થરૂરે કહ્યું કે, ભારતમાં સ્પોટ્‌ર્સ બેટિંગને કાયદેસર કરવાથી સરકાર અને ખેલ ઉદ્યોગ બંનેને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. આ ઉપરાંત શશિ થરૂરે કહ્યું કે, સટ્ટાને કાયદેસર કરી દેવાથી ક્રિકેટમાં મેચ ફિક્સિંગને કાબૂમાં લેવામાં પણ મદદ મળશે.

એક લાઈવ ચેટમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, સટ્ટાબાજીને કાયદેસર કરવાથી સરકારને સારી એવી કમાણી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે તેને નિષ્પક્ષ ખેલ ઘોષિત કર્યું છે. અને તે બાદથી જ ભારતમાં ફેન્ટસી ક્રિકેટ ખુબ જ લોકપ્રિય બન્યું છે. ભારતની સૌથી મોટી ફેન્ટસી કંપની ડ્રીમ 11 ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની ટાઈટલ સ્પોન્સર પણ છે અને તેનાથી સમજી શકાય છે કે આ કેટલી ઝડપથી વિકસી રહી છે.

આ ઉપરાંત શશિ થરૂરે કહ્યું કે, સરકાર આવા પ્લેટફોર્મથી ટેક્સ રેવન્યુ કમાઈ છે. ખેલ સટ્ટાબાજી આ રેવન્યુને વધારી શકે છે. વધુમાં થરૂરે જણાવ્યું કે, મેં ન ફક્ત ભલામણ કરી છે, પણ મેં ગત સંસદ સત્રમાં સભ્યોનું ખાનગી વિધેયક પણ રજૂ કર્યું છે, જે ખેલ સટ્ટાને કાયદેસર કરશે. થરૂરે જણાવ્યું કે, તે અંડરવર્લ્ડ પાસેથી સત્તા છીનવી લેશે. અત્યારે માફિયા કે જે સટ્ટાબાજીના સિન્ડિકેટને નિયંત્રિત કરે છે અને મેચો પર દાવ લગાવે છે, તે એવાં છે કે જેઓ મેચ ફિક્સિંગ અને આ પ્રકારની હરકતો કરે છે. તમે સટ્ટાબાજીને કાયદેસર કરી શકો છો, અને આમ કરતાં તમારું રેવન્યુ પણ વધે છે.