વડોદરા-

વડોદરા શહેર માં એક તરફ વેકશીન નો પૂરતો જથ્થો નહિ હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સિટી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરી વેક્સિન લેવા જાહેરાત કરવામાં આવી રહી છે કે તા.30 સુધી માં વેકશીન નહિ લેનારા ના ધંધા રોજગાર બંધ કરાવાશે તે સાંભળી લોકો માં દહેશત વ્યાપી ગઈ છે.

'સરકારના આદેશ મુજબ, ૩૦ જૂન સુધીમાં નાના-મોટા વેપારીઓ વેક્સિન નહીં લે તો તેમની દુકાનો, પથારા, લારીઓ બંધ કરાવી દેવામાં આવશે,' એવી વેપારીઓને વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વાણિયાએ ચીમકી ઉચ્ચારી હતી. એક તરફ, વડોદરામાં વેક્સિન છે નહીં, વેક્સિનેશન સેન્ટરો બંધ કરવાં પડે છે અને બીજી બાજુ, પોલીસ વેપારીઓને ૩૦ જૂન સુધીમાં વેક્સિન લો, નહીંતર દુકાનો બંધ કરવાની દમદાટી આપી રહી છે.

આજે વડોદરા શહેરના સિટી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરી વેક્સિન લેવા માટે લોકોને જાગ્રત કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મંગળ બજાર અને નવા બજાર સહિતના વિસ્તારોમાં ધંધો-રોજગાર કરતા પથારાવાળા, લારીઓવાળા તેમજ નાની-મોટી દુકાનો ધરાવતા વેપારીઓને વેક્સિન ન લીધી હોય તો લઇ લેવા માટેની ફરજ પાડવામાં આવી હતી.  સિટી પોલીસ મથકના પોલીસ અધિકારી વી.આર.વાણિયાએ જણાવ્યું હતું કે સરકારનો આદેશ છે કે ૩૦ જૂન સુધી તમામ લોકોએ વેક્સિન લઈ લેવી લેવાની રહેશે. ત્યારે સિટી પોલીસ સ્ટેશન દ્વારા તમામ નાના-મોટા વેપારીઓ વેક્સિન લઈ લે એ માટે આજે સવારથી પોલીસ મથક વિસ્તારમાં જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું. આજના જાગૃતિ અભિયાન પછી પણ નાના, મોટા વેપારીઓ તેમજ પથારાવાળા અને લારીવાળા ૩૦ જૂન સુધીમાં વેક્સિન નહીં લે તો તેમના વેપાર, રોજગાર બંધ કરાવી દેવામાં આવશે, એવી ચીમકી પીઆઇએ ઉચ્ચારી હતી.