ગાંધીનગર, કોરોના કાળના લોકડાઉનમાં રૂપિયા ૧૦૦ કરોડથી વધુના સરકારી અનાજ - ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ અંગે સરકાર કેમ મૌન છે? તેવા પ્રશ્ન સાથે આ રાજ્યવ્યાપી કૌભાંડની તટસ્થ અને પારદર્શક તપાસ થાય અને અસરકારક પગલાં ભરાય તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કરીને સરકાર ઉપર પ્રહાર કર્યા છે.

 પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી ૬૨,૦૦૦ જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના ૧૦૦ કરોડ રૂપિયાનું અનાજ લોકડાઉન - કોરોના કાળમાં ચાઉં થઈ ગયું હતું. લોકડાઉન અને કોરોનાકાળમાં સરકારી અનાજ કાળાબજાર કરનારાઓને ફાયદારૂપ થયું હોય તેમ ફેક યુઝર આઈ.ડી. બનાવીને કરોડો રૂપિયાનું અનાજ કાળાબજારમાં સગેવગે કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આ કૌભાંડ ખુલ્યા પછી આજ દિન સુધી આ દિશામાં ગંભિરતાથી તપાસના તથ્યો સામે આવ્યા નથી. જે રાશનકાર્ડ ગ્રાહકો નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ અનાજ લેવા જતા ન હતા, તેમના નામનો ફેક યુઝર આઈ.ડી. બનાવીને કાળાબજાર કરનારી ટોળકીઓ બારોબાર આ અનાજને સગેવગે કરતા હતા. રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લા - શહેરમાંથી ગરીબોના હક્કનું અનાજ બારોબાર કાળાબજારીયાઓ ચાઉં કરી ગયા છે. ભાજપ સરકારના આર્શિવાદથી કાળાબજારીયા અને સંગ્રહખોરો દ્વારા સુનિયોજિત કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. દિયોદર જી.આઈ.ડી.સી.માં ૮.૬૪ લાખ, સુરેન્દ્રનગરમાં ૨૪.૭૦ લાખના અનાજના જથ્થા અંગે જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીઓ કેમ મૌન છે? મધ્યાહન ભોજન હેઠળ મળવાપાત્ર ભોજનના હક્કથી બાવન લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને કોરોના કાળમાં વંચિત રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આંગણવાડી - બાલકેન્દ્રોના લાખો બાળકો કોરોના કાળમાં પોષણયુક્ત આહારથી વંચિત રહ્યાં. ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા, કાળાબજારીયા, સંગ્રહખોરો પર ભાજપ સરકાર પી.બી.એમ. હેઠળ કેમ પગલા ભરતી નથી ? સસ્તા અનાજના કે સરકાર દ્વારા જથ્થો ફાળવવામાં આવ્યો હોય તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરાય, તે જુદા જુદા ગોડાઉનમાંથી પકડાય તેમ છતાં આવા કૌભાંડીઓ સામે કેમ ગંભિર પગલા ભરાતા નથી? સસ્તા અનાજ માટેની વિતરણ વ્યવસ્થામાં અનાજ, ખાદ્યતેલ, ખાંડ, કેરોસીન અને દાળ બારોબાર સગેવગે થાય અથવા તો તે વ્યવસ્થામાં મોટી ગેરરીતિ હોય તે અંગે સરકાર કેમ મૌન બેથી છે? આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે, કાળાબજારીયા, સંગ્રહખોરો, અનાજ માફિયાઓ ભાજપ શાસનમાં ભાગીદારની જેમ વટથી વેપાર અને કામકાજ કરી રહ્યાં છે. ગુજરાતમાં ૦ થી ૧૬ ગુણાકવાળા ૧૬,૧૯,૨૨૬ પરિવારો અને ૧૭ થી ૨૦ ગુણાકવાળા ૧૫,૨૨,૦૦૫ પરિવારો એટલે કે ગુજરાતમાં અન્ન નાગરિક પુરવઠા પ્રમાણે ૩૧,૪૧,૨૩૧ પરિવારો ગરીબી રેખા નીચે એટલે કે, ૧ કરોડ ૮૮ લાખ કરતા વધુ નાગરિકો ગરીબી રેખા નીચે ગુજરાતમાં જીવન પસાર કરી રહ્યાં છે