દિલ્હી-

દેશમાં કોરોના વાયરસથી અગ્રિમ પંક્તિ પર લડી રહેલા કોરોના વોરિયર્સ માટે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે બેચરલ ઓફ મેડિસિન એન્ડ બેચરલ ઓફ સર્જરી એટલે કે એમબીબીએસમાં કોરોના વોરિયર્સના સંતાનો માટે પાંચ સીટો રિઝર્વ રહેશે. સરકારી સમાચાર સેવા પ્રસાર ભારતી અનુસાર સ્વાસ્થ્ય મંત્રીએ એવું પણ જણાવ્યું કે કયા લોકો કોરોના વોરિયર્સના દાયરામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એવી પણ જાહેરાત કરી છે કે મેડિકલ કોલેજમાં એમબીબીએસ સીટોમાં ૫ સીટ કોરોના વોરિયર્સના બાળકો માટે અનામત રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,

કોરોના વોરિયર એ છે જેઓ જમીન પર કામ કરનારા આશા વર્કર્સ અને હૉસ્પિટલમાં કામ કરનારી નર્સ કે ડૉક્ટર છે. તેમના સંતાનો માટે રાષ્ટ્રોય કોટામાં ૫ સીટ અનામત રાખવામાં આવી છે. મેરિટના આધાર પર તેમનું નામાંકન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય પૂલ એમબીબીએસ/ બીડીએસ સીટો હેઠળ 2020-21 માટે વોર્ડ ઓફ કોવિડ વોરિયર્સના ઉમેદવારોની પસંદગી અને નામાંકન માટે નવી શ્રેણીને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આ એ તમામ કોવિડ યોદ્ધાઓ પ્રતિ અમારી પ્રતિબદ્ધતા છે જેઓએ નિઃસ્વાર્થ ભાવથી દેશની સેવા કરી છે.

મળતી માહિતી મુજબ, શૈક્ષણિક વર્ગ 2020-21 માટે આ શ્રેણીના કેન્દ્રીય પૂલ એમબીબીએસ/ બીડીએસ સીટો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી. આ દરમિયાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, તમે આ જીવલેણ વાયરસથી નાની-નાની તકેદારી જેવી કે સારી ગુણવત્તાના માસ્ક પહેરીને, સામાજિક અંતર રાખીને અને હાથોની સફાઈનું ધ્યાન રાખીને પોતાની રક્ષા અને બીજાઓને પ્રેરિત કરી શકો છો.