મુંબઇ-

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરથી પીડિત લોકોને બચાવવા માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે અને સરકાર પણ પ્રયાસ કરી રહી છે. સીએમ ઉદ્ધવ ઠાકરે અસરગ્રસ્ત ગામની મુલાકાત પણ ગયા હતા સાતારા જવાની તૈયારી પણ કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ એવી છે કે, ભારેલા પાણી ઉતરવામાં મહીનાઓ લાગી શકે છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 149 લોકોનાં મોત નીપજ્યાં છે અને લગભગ 100 લોકો ગુમ છે. રાહત અને પુનર્વાસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 2,30,000 લોકોને સ્થળાંતર કરાયા છે. કુલ 3,248 પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે અને 50 લોકો ઘાયલ થયા છે. લગભગ 875 ગામોને પૂરની અસર થઈ છે. આ આંકડો સત્તાવાર છે પરંતુ વરસાદને કારણે વિનાશ સર્જાયો છે, ભારતીય સેનાએ સેન્ટ્રલ વોર રૂમ બનાવ્યો છે, જેથી રાહત અને બચાવ કાર્ય એરફોર્સ અને નૌકાદળના સમન્વયમાં થઈ શકે. તેનું નામ ઓપરેશન વર્ષા -21 રાખવામાં આવ્યું છે. ત્રણેય દળો સ્થાનિક વહીવટ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારે વરસાદ પછી, કૃષ્ણ નદી, જેને સાંગલીની જીવનરેખા કહેવામાં આવે છે, તે નદીનું જળસ્તર વધી ગયું છે. જેના કારણે ગામડાઓ અને શહેરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે એક માળના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. NDRFની ટીમ પાણીની વચ્ચે ફસાયેલા હજારો લોકોને સહાય પૂરી પાડવામાં રોકાયેલી છે.