જૂનાગઢ-

જિલ્લાના માળીયા નજીક આવેલા વ્રજમી બાદ ભાખરવડ ડેમ પર સતત અને અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. જેને કારણે નદીના પટ અને નીચાણવાળા ગામોને વહીવટીતંત્ર દ્વારા સલામત અને સુરક્ષિત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. માળીયા તાલુકામાં અવિરત અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે મંગળવારે માળીયા નજીક આવેલો વ્રજમી ડેમ પણ ઓવરફ્લો થતા તેના ચાર દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જ્યારે માળીયા નજીક આવેલો ભાખરવડ ડેમ પણ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. જેને કારણે મેઘલ નદીમાં ભારે પૂર આવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.આ નદીના પટ વિસ્તારમાં આવતા ગામો જાનુડી, કડાયા, સમઢીયાળા, વડીયા, ધુલી ભંડુરી, ગડુ, ઘણેજ, જંગર અને ખોરાસા ગામના લોકોને નદીના પટમાં નહીં રહેવા તેમજ સાવચેત સ્થળે ખસી જવાની વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.