ગાંધીનગર-

સમગ્ર દેશના ઘણા રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. તો કેટલાક રાજ્યમાં રાત્રી કર્ફ્યું અને કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં હાલમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ગાંધીનગર ખાતે યોજાવાની છે.

મહત્વનું છે કે, આ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાવાની મહત્વની બેઠકમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે નિરીક્ષણ કરવામાં આવશે અને સાથે રાજ્યમાં લાગેલા રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધો મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં સરકાર રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોઇને કર્ફ્યૂ મુદ્દે નવો નિર્ણય જાહેર કરી શકે છે. રાજ્યમાં દિવસેને દિવસે ઘટી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે લગાવેલા પ્રતિબંધોમાં થોડી ઘણી છૂટછાટ આપી શકે છે. સાથે વેપારી એસોસિએશન પણ પહેલા કર્ફ્યું દુર કરવાની માંગ કરી ચુક્યુ છે. તમને જણાવી દઈએ કે. અગાઉ રાજ્યમાં આવેલા વાવાઝોડાને કારણે 18, 19 અને 20 મે એમ ૩ દિવસ માટે રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હતા. જયારે હાલમાં રાજ્યના કુલ 36 શહેરોમાં રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધો યથાવત છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધો અંગેની જાહેરાત કરી હતી. 18મી મે 2021થી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના આ રાત્રી કર્ફ્યુનો અમલ તા.21મી મે 2021ની સવારે 6 વાગ્યા સુધી આ શહેરોમાં યથાવત રાખવામાં આવેલ છે. ત્યારે 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અને વધારાના પ્રતિબંધો હાલમાં યથાવત છે. જેમાં જીવન જરૂરિયાતની તમામ આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો શરુ રહેશે.