ગાંધીનગર,

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકરનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સાથે જ તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રમણ પાટકરને કોરોનાના લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ચિંતાની વાત એ છે તેમણે મુખ્યમંત્રીના ઘરે યોજાયેલી બેઠકોમાં પણ તેમણે ભાગ લીધો હતો. આ અંગે તેમણે નિવેદન આપતાં કહ્યું હતું કે કોરોનાના લક્ષણો જણાતા તેઓ જાતે જ હોસ્પિટલ ગયા જ્યાં તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો તે પોઝિટિવ આવ્યો છે.  

રમણ પાટકરના રિપોર્ટ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે ગત બુધવારે યોજાયેલી બેઠકમાં તેઓ હાજર હતા, આ બેઠક મુખ્યમંત્રી આવાસસ્થાને યોજાઈ હતી.  

રમણ પાટકર વિજય રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના વનમંત્રી છે. તેમને કોરોના પોઝિટિવ આવતાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા અને કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ ભાજપના અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.