દિલ્હી-

નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) અંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ૧૫ સભ્યોની સમિતિમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું નામ પણ આ સમિતિમાં સામેલ છે. સંરક્ષણ મંત્રાલયે એનસીસીની વ્યાપક સમીક્ષા માટે આ સમિતિની રચના કરી છે જેથી તેને પહેલા કરતા વધુ સુસંગત બનાવી શકાય.

ધોની અને આનંદ મહિન્દ્રા સિવાય સંરક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિમાં કર્નલ (નિવૃત્ત) રાજ્યવર્ધન સિંહ રાઠોડ, રાજ્યસભાના સભ્ય વિનય સહસ્ત્રબુદ્ધે, નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલ અને જામિયા મિલિયા ઇસ્લામિયાના વાઇસ ચાન્સેલર નજમા અખ્તરનો સમાવેશ થાય છે.

અન્ય સભ્યોમાં એનએસડીટી મહિલા વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ વસુધા કામત, ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન સચિવ મુકુલ કાનિતકર, મેજર જનરલ (નિવૃત્ત) આલોક રાજ, એસઆઇએસ ઇન્ડિયા લિમિટેડ મેનેજિંગ ડિરેક્ટર રૂતુરાજ સિન્હા, ડેટાબુક સીઈઓ આનંદ શાહના નામ સામેલ છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય બૈજયંત પાંડાને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ (માનદ) છે. સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું છે કે એનસીસીને બદલાતા સમયમાં વધુ સુસંગત બનાવવા માટે તેની વ્યાપક સમજ આપવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે એનસીસી ખાકી યુનિફોર્મમાં સૌથી મોટું સંગઠન છે જેનો ઉદ્દેશ યુવા નાગરિકોમાં ચારિત્ર્ય, શિસ્ત, બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ અને નિસ્વાર્થ સેવાના આદર્શો કેળવવાનો છે.