ભરુચ-

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાને લઈ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ કેંદ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. કેંદ્ર સરકારના દબાણના કારણે મોહન ડેલકરે આત્મહત્યા કરી હોવાનો વસાવાએ આક્ષેપ કર્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાત ટર્મ સાંસદ રહેલા મોહન ડેલકરે ગત ૨૨મી ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી છ પાનની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં દાદરા અને નગરહવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પ્રફુલ્લ પટેલ તથા વહીવટીતંત્ર તરફથી કરાતી ઉપેક્ષાથી કંટાળી મોહન ડેલકરે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હતો.